Earthquake in Kachchh: ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા; રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૪.૩; જાન-માલનું નુકસાન નહીં
પ્રતીકાત્મક તસવીર
મંગળવાર એટલે કે ગઈકાલનો દિવસ જાણે ભારત (India) માટે ભારે રહ્યો હતો. બપોરે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)માં ૨૬ લોકોના જીવ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે ગુજરાત (Gujarat)ના કચ્છ (Kachchh)માં ભૂકંપના આંચકા (Earthquake in Kachchh) અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા ૪.૩ નોંધાઈ હતી.
૨૨ એપ્રિલની રાત્રે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા (Earthquake in Kachchh) અનુભવાયા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology - NCS) અનુસાર, ભારતીય સમય મુજબ રાત્રે ૧૧:૨૬ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતા, NCS એ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 23.52° ઉત્તર અક્ષાંશ અને 69.95° પૂર્વ રેખાંશ પર હતું. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
ADVERTISEMENT
EQ of M: 4.3, On: 22/04/2025 23:26:11 IST, Lat: 23.52 N, Long: 69.95 E, Depth: 20 Km, Location: Kachchh, Gujarat.
— National Center for Seismology (@NCS_Earthquake) April 22, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/1Jc5autVEN
સ્થાનિકોના જણાવ્યા મુજબ, કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, ભૂકંપના કેન્દ્ર અને ઊંડાઈ વિશે હજુ સુધી વિગતવાર માહિતી મળી નથી. વહીવટીતંત્રે પરિસ્થિતિ પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે, અને કટોકટી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે.
નોંધનીય છે કે, કચ્છ પ્રદેશ ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે, અને અહીં પહેલા પણ મોટા ભૂકંપ આવી ચૂક્યા છે. કચ્છના ભુજ (Bhuj)માં વર્ષ ૨૦૦૧માં આવેલા ભૂકંપને હંમેશા યાદ કરવામાં આવે છે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ થયેલા આ ભૂકંપમાં ભુજમાં ભારે વિનાશ થયો હતો અને હજારો લોકો મૃત્યુ પામ્યા હતા.
આ દેશમાં પણ આવ્યો હતો ભૂકંપ
કચ્છમાં ભૂકંપના બે કલાક પહેલા, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર માહિતી આપી હતી કે, ૨૨ એપ્રિલે સવારે ૯.૫૬ વાગ્યે (ભારતીય સમય પ્રમાણે) અફઘાનિસ્તાન (Afghanistan)માં પણ ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી, ૨૨ એપ્રિલે મ્યાનમાર (Myanmar)માં પણ ૪.૦ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તે જ દિવસે, તાજિકિસ્તાન અને તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તાજિકિસ્તાન (Tajikistan)માં ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે તિબેટ (Tibbet)માં ૪.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તાજિકિસ્તાન એક પર્વતીય દેશ હોવાથી ભૂકંપ, પૂર, દુષ્કાળ અને હિમપ્રપાત જેવી કુદરતી આફતોથી વધુ પ્રભાવિત છે.
ભૂકંપ શા માટે આવે છે?
ભૂકંપ મુખ્યત્વે પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટોની ગતિને કારણે થાય છે. પૃથ્વીનો પોપડો ઘણી પ્લેટોમાં વહેંચાયેલો છે જે ધીમે ધીમે આગળ વધે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે અથવા એકબીજાની નીચે સરકે છે, ત્યારે દબાણ વધે છે, જે ભૂકંપના આંચકાના સ્વરૂપમાં બહાર આવે છે. વધુમાં, જમીનમાં તિરાડો પર સંચિત તણાવ પણ ભૂકંપનું કારણ બની શકે છે. કેટલાક કિસ્સાઓમાં, જ્વાળામુખી ફાટી નીકળવાથી પણ ભૂકંપ આવી શકે છે, જેને `જ્વાળામુખી ભૂકંપ` કહેવામાં આવે છે.

