જૈશના આતંકવાદી મૌલાના અબ્દુલ અઝીઝનો રહસ્યમય રીતે ગયો જીવ
મૌલાના અબ્દુલ અઝીઝ ઇસર
પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો ખેલ ખતમ થઈ ગયો છે. જૈશ-એ-મોહમ્મદ (JeM)ના સિનિયર કમાન્ડર મૌલાના અબ્દુલ અઝીઝ ઇસરનું રહસ્યમય રીતે મોત થયું છે. આ સમાચારે ગુપ્તચર વર્તુળોથી લઈને આતંકવાદી નેટવર્ક સુધી ખળભળાટ મચાવી દીધો છે. જૈશ-એ-મોહમ્મદના આ કુખ્યાત આતંકવાદીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. જોકે તેનું મૃત્યુ કેવી રીતે થયું એ હજી પણ રહસ્ય છે. તેને બહાવલપુરમાં દફનાવવામાં આવ્યો હતો, પરંતુ મૃત્યુના કારણ અંગે બધા મૌન છે. ઑપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં આતંકવાદીઓ હચમચી ગયા છે અને તેઓ સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે.
પાકિસ્તાનના બહાવલપુરમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યાં જૈશનું મુખ્ય મથક પણ આવેલું છે. અબ્દુલ અઝીઝ એ જ આતંકવાદી હતો જેણે ગયા મહિને જૈશની રૅલીમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેણે ખુલ્લા મંચ પરથી ધમકી આપી હતી કે ભારતનું ભાગ્ય યુનિયન ઑફ સોવિયેટ સોશ્યલિસ્ટ રિપબ્લિકન (USSR) જેવું થશે. જૈશ સાથે સંકળાયેલાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સે તેના દફનાવવાની પુષ્ટિ કરી છે, પરંતુ જૈશ અને પાકિસ્તાન સરકારે આતંકવાદીનો જીવ કઈ રીતે ગયો એ અંગે મૌન ધારણ કર્યું છે.

