Nepal Floods: આ સમગ્ર મહાવિનાશ પાછળ નેપાલમાં ચીનને દોષ આપવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. તાજતેરમાં જ એક નેપાલી જર્નલિસ્ટે આ મહાવિનાશ પાછળ ચીનને દોષી ઠેરવીને આકરા પ્રહાર કર્યા છે.
ફાઇલ તસવીર
નેપાલમાં આવેલ જળપ્રલયે (Nepal Floods) ભયંકર તારાજી સર્જી છે. રસ્તા, પુલ, ઇમારતો જેવી સ્ટ્રક્ચરલ સુવિધાઓ વેરવિખેર થઇ જ છે, પણ અસંખ્ય લોકોનાં મોતના સમાચારથી વિશ્વ હચમચી ઊઠ્યું છે. નેપાલ અને તિબેટની બોર્ડર પાસે આવેલ ભોટે કોશી અને ત્રિશુલી નદીઓમાં ૨૬ ઓગસ્ટના રોજ આવેલા મહાવિનાશકારી પૂરે કંઇ કેટલાંય જીવનોને વેરવિખેર કરી નાખ્યા છે. આ જળપ્રલયમાં ભારતીય નાગરિકો સહિત સેંકડો લોકો લાપતા પણ થઇ ગયા છે. પણ આ સમગ્ર મહાવિનાશ પાછળ નેપાલમાં ચીનને દોષ આપવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. તાજતેરમાં જ એક નેપાલી જર્નલિસ્ટે આ મહાવિનાશ પાછળ ચીનને દોષી ઠેરવીને આકરા પ્રહાર કર્યા છે.
ચીનની ડિઝાસ્ટર સિસ્ટમે આગોતરી અલર્ટ આપી હોત તો...
ADVERTISEMENT
નેપાલના વિદેશ અને વ્યુહાત્મક બાબતોના જર્નલિસ્ટ પરશુરામ કાફલેએ ચીન પર આકરા પ્રહારો કરતાં સોશિયલ મીડિયા પર અનેક સવાલ ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું કે આ પૂરનું પાણી (Nepal Floods) તિબેટ સાઈડથી ૨૦ કિલોમીટરનું અંતર વટાવીને નેપાલની બોર્ડર સુધી આવ્યું છે. આમ આ બંને પ્રદેશો વચ્ચે ખાસ્સું અંતર છે, અને જો ચીનની મોડર્ન ડિઝાસ્ટર ડિટેક્શન સિસ્ટમે સમયસર `રિયલ ટાઈમ ડેટા` અથવા આગોતરી અલર્ટ આપી દીધી હોત તો નેપાલમાં લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરી શકાયું હોત. અને પૂરને કારણે સેંકડો જીવનને રોળાઇ જતાં રોકી શકાયાં હોત.
આ સાથે જ જર્નલિસ્ટે ચીન સામે લાલ આંખ કરતાં એમ પણ લખ્યું હતું કે અમે સતત ચીન તરફથી આવતી આપત્તિઓનો સહન કરતાં આવ્યાં છીએ. તેમ છતાં તેમની તમામ વાજબી-ગેરવાજબી એવી તમામ ઈચ્છાઓને સંતોષીએ જ છીએ. આટલું કરવા છતાં પણ નેપાલે આ `એકતરફી પ્રેમ`ની કિંમત કેમ ચૂકવવી પડી રહી છે?
પહેલાં ધરતી ધ્રુજી, પછી ગ્લેશિયરમાં ભંગાણ અને આવ્યું પૂર
નેપાલમાં ફરી વળેલા પૂરના પાણી (Nepal Floods) અંગે સંસદમાં માહિતી આપતાં નેપાલના વિદેશ મંત્રી શિશિર ખનાલે જણાવ્યું હતું કે, તિબેટના સ્થાનિક સમય મુજબ સવારે ૮:૩૭ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ધરતીકંપ થવાને કારણે ગ્લેશિયર તેમજ ખડકો તૂટી પડ્યા હતા. જેને કારણે નદીના પ્રવાહમાં અવરોધ આવ્યો હતો. ત્યારબાદ અચાનક બંધ તૂટી જતાં ભોટે કોશી અને ત્રિશુલી નદીના જળસ્તરમાં ભયજનક વધારો થઇ ગયો હતો. પૂરના પાણી કાઠમંડુથી લગભગ ૭૦ કિમી દૂર આવેલા રસુવા, નુવાકોટ, ધાડિંગ અને ચિતવન જેવા વિસ્તારો સુધી ફરી વળ્યા હતા.
નેપાલના આ જળપ્રલય (Nepal Floods)માં માળખાગત સુવિધાઓ તો પત્તાના મહેલની જેમ વેરવિખેર થઇ ગઈ છે. એમાં પછી બ્રિજ હોય કે મોટાં મોટાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ હોય.. બધુ જ પાણીમાં વહી ગયું છે. લોકોના મકાનો પણ તણાઇ ગયા હોઇ અસંખ્ય લોકોના જીવન બરબાદ થઇ ગયા છે.
અસંખ્ય લોકોનો તો કોઈ પત્તો જ લાગ્યો નથી. ૧૩૩થી વધુ ભારતીયો સહિત ૭૦૦થી વધુ વિદેશી અને સ્થાનિક નાગરિકો હજી પણ લાપતા હોવાની આશંકા છે.
એક તરફ નેપાલમાં પૂરને કારણે મચેલી તબાહી માટે ચીનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ચીનની એક ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ ચીનના ગિરોંગ કાઉન્ટી વિસ્તારમાં પણ ભૂસ્ખલનથી નુકસાન થયું છે અને પીપલ્સ આર્મડ પોલીસ દ્વારા રાહત કામગીરી શરૂ કરાઈ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ ઇમરજન્સી સિસ્ટમ મજબૂત કરવા માટેના આદેશો પણ આપી દીધા છે.
