ભિવંડીમાં મારવાડી વેપારીની પત્ની, માતા અને દોઢ વર્ષની બાળકીની મારપીટ કરી
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીના માનસરોવર વિસ્તારમાં રહેતા પાવરલૂમના માલિક વિનોદ અગ્રવાલની ૩૯ વર્ષની પત્ની સંતોષ, ૬૫ વર્ષની માતા કિરણદેવી અને દોઢ વર્ષની પુત્રી શાંભવી પર સોમવારે બપોરે ચાકુ અને લાત-મુક્કાથી હુમલો કરવાના આરોપસર ભિવંડી સિટી પોલીસે જિતેન્દ્ર ગૌતમની ધરપકડ કરી હતી. આરોપી જિતેન્દ્ર અગાઉ વિનોદ અગ્રવાલના કારખાનામાં કામ કરતો હતો, પરંતુ સતત રજાઓ પાડવાના કારણે તેને ૪ દિવસ પહેલાં જ કામ પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ જ બાબતની અદાવત રાખીને તેણે આ ક્રૂર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય જણ હાલ ભિવંડીની પ્રાઇમ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સંતોષ અગ્રવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે બપોરે અઢી વાગ્યે વિનોદ ઘરે નહોતા ત્યારે જિતેન્દ્ર ગુસ્સામાં ઘરે આવ્યો હતો. ત્યારે સાસુએ દરવાજો ખોલતાં જ જિતેન્દ્ર ઘરમાં ઘૂસી ગયો હતો અને ‘તેણે મને કામ પરથી કેમ કાઢ્યો?’ એમ કહીને હંગામો મચાવવા લાગ્યો હતો. મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મારા પતિ ઘરે નથી ત્યારે ઉશ્કેરાઈને તેણે પોતાની પાસે રહેલું ચાકુ કાઢીને મારા હાથ પર હુમલો કર્યો હતો. ચાકુના ઘા મારીને તેણે મારા બન્ને હાથની આંગળીઓ, જમણા હાથની કોણી અને કાનની નીચેના ભાગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. મારાં સાસુ કિરણદેવીને પણ લાતો મારીને પાંસળીઓ પર ઈજા પહોંચાડી હતી અને એ સમયે રડી રહેલી દોઢ વર્ષની મારી બાળકી શાંભવીને પણ લાફા મારીને નીચે ફેંકી દીધી હતી. મારી અને દીકરીની ચીસાચીસ સાંભળીને આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.’
