ખુદ શાસક પક્ષના વિધાનસભ્યએ BMCમાં એન્જિનિયરોની બદલીમાં કૅશ ફૉર ટ્રાન્સફરનો ગંભીર આરોપ લગાવ્યો એટલું જ નહીં, પોતાની પાસે એનું રેટ-કાર્ડ હોવાનો પણ દાવો કર્યો
મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચા
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં એન્જિનિયરોની બદલીઓને લઈને એક નવો મોટો વિવાદ ઊભો થયો છે. BJPના વિધાનસભ્ય મિહિર કોટેચાએ બદલીઓની પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિઓ અને ‘કૅશ ફૉર ટ્રાન્સફર’નો ગંભીર આરોપ લગાવ્યો છે. શાસક પક્ષના જ વિધાનસભ્ય દ્વારા BMCના વહીવટ પર આ પ્રકારના ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવતાં મુંબઈના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ દાવો કર્યો છે કે તેમની પાસે એન્જિનિયરોની બદલીઓ સાથે જોડાયેલું આખું રેટ-કાર્ડ ઉપલબ્ધ છે જે BMCમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. તેમણે આ વિશે પાંચમી ઑગસ્ટે માહિતી માગી હતી, પરંતુ ૨૬ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં BMC પ્રશાસન દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. મિહિર કોટેચાએ ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અવિનાશ ઢાકણે પર માહિતી આપવા માટે આનાકાની કરવાનો અને વિગતો છુપાવવાનો સીધો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે વિધાનસભ્ય મિહિર કોટેચાએ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલને લેખિત ફરિયાદ કરી છે. તેમણે ઍડિશનલ કમિશનર અવિનાશ ઢાકણેની ભૂમિકાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવાની સાથે માહિતી આપવામાં વિલંબ કરનારા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માગણી કરી છે. તેમનું કહેવું છે કે જો માગેલી માહિતી જાહેર કરવામાં આવશે તો આ કૌભાંડનો પર્દાફાશ થઈ જશે. આ આરોપોને કારણે આવનારા દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બને એવી શક્યતા છે.
