કાયદાકીય અને ટેક્નિકલ પાસાંઓ અંગે મૂંઝવણ હોવાથી અરજીઓ પર નિર્ણય બાકી
બીએમસી હેડક્વૉર્ટર
મુંબઈમાં ફરી એક વાર ઇચ્છામૃત્યુનો મુદ્દો ચર્ચામાં છે. તાજેતરમાં જ ગાઝિયાબાદના હરીશ રાણાને સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ ઇચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવી હતી. આ ઘટના પછી એવું બહાર આવ્યું છે કે છેલ્લાં બે વર્ષમાં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પાસે ૪૦ લોકોએ ઇચ્છામૃત્યુ માટે અરજી કરી છે.
૨૦૨૩માં ભારતની સુપ્રીમ કોર્ટે ચોક્કસ પરિસ્થિતિઓ ધરાવતા ગંભીર અને અસાધ્ય દરદીઓ માટે ઇચ્છામૃત્યુને મંજૂરી આપતો એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. એ પછી રાજ્ય સરકારે આવા કેસોમાં અરજીઓ લેવાની જવાબદારી BMCને સોંપી હતી.
ADVERTISEMENT
આ અંતર્ગત મુંબઈના વિવિધ વિસ્તારોના મુખ્ય મેડિકલ ઑફિસર્સને અત્યાર સુધીમાં ૪૦ અરજીઓ સબમિટ કરવામાં આવી છે જે દર્શાવે છે કે ઘણા લોકો આ વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. કાયદાકીય અને ટેક્નિકલ પાસાંઓ અંગે પણ ઘણી મૂંઝવણ છે. આ કારણે હજી સુધી અરજીઓ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ડૉક્ટરો અને ઍડ્મિનિસ્ટ્રેશનને કેટલાક સવાલ
સૌથી મોટી સમસ્યા એ છે કે આ અરજીઓ પર આગળની પ્રક્રિયા અંગે કોઈ સ્પષ્ટ નિયમ નથી. લગભગ બે વર્ષ વીતી ગયા પછી પણ BMC કયા કેસમાં શું કાર્યવાહી કરવી એ નક્કી કરી શક્યું નથી. જો કોઈ વ્યક્તિ મુંબઈમાં અરજી કરે છે, પરંતુ તેનું મૃત્યુ રાજ્યના બીજા સિટી કે ગામમાં થાય તો કોણ નિર્ણય લેશે? એવી જ રીતે દરદીની સ્થિતિ, પરિવારની સંમતિ, મેડિકલ બોર્ડની ભૂમિકા અને કાનૂની તપાસ જેવાં ઘણાં પાસાં પર હજી સુધી કોઈ સ્પષ્ટ ગાઇડલાઇન્સ નથી. સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે આ કેસોને રેકૉર્ડ કરવા માટે એક ડિજિટલ પોર્ટલ બનાવ્યું છે, પરંતુ BMC સ્તરે એનો ઉપયોગ હજી શરૂ થયો નથી.
