CSMTમાં બે ટ્રેન સામસામે આવ્યા બાદ મોટરમૅનની કૅબિનમાં GPS સાથેની સેફ્ટી-સિસ્ટમ લગાવવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
થોડા વખત પહેલાં જ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર બે ટ્રેન એક જ ટ્રૅક પર સામસામે આવી ગઈ હતી. જોકે ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને ટ્રેન રોકી દેતાં હોનારત થતાં રહી ગઈ હતી. હવે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનની કામગીરીને, સેફ્ટીને વધારવાના હેતુથી સેન્ટ્રલ રેલવેએ મુંબઈ સબર્બન નેટવર્ક પર કાર્યરત તમામ લોકલ ટ્રેનોમાં સિગ્નલ લોકેશન અનાઉન્સમેન્ટ સિસ્ટમ (SILAS)ને અપગ્રેડ કરી છે.
મોટરમૅનને એરર-ફ્રી કામગીરીમાં મદદ કરવા માટે ટ્રેનોની ડ્રાઇવિંગ કૅબિનમાં અપગ્રેડેડ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) આધારિત સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવામાં આવી રહી છે. મુંબઈની સબર્બન રેલવે ઑટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને દરરોજ ૨૩૦૦થી વધુ ટ્રેન-સર્વિસનું સંચાલન કરે છે, જેમાં મોટા ભાગનાં સિગ્નલો ફક્ત ૪૦૦થી ૫૦૦ મીટરના અંતરે છે.
