એનાથી પીવાના પાણી, ખોરાક, દવાઓ અને અન્ય રાહતસામગ્રીનો પુરવઠો પણ સરળતાથી પહોંચાડી શકાશે
પ્રતીકાત્મક તસવીર
કર્જત-લોનાવલા ઘાટ વિભાગ પર માટી અને ભેખડો ટ્રૅક પર તૂટી પડવાથી અથવા અન્ય કટોકટીને કારણે ટ્રેનો અટકી પડે ત્યારે ટ્રેનોમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે સેન્ટ્રલ રેલવે આ વિસ્તારમાં ૨૬ કિલોમીટરનો ઇમર્જન્સી રોડ બનાવવાની યોજના બનાવી રહી છે.
આ મહિનાની શરૂઆતમાં ભારે વરસાદને કારણે ઘાટ વિભાગમાં અનેક ભૂસ્ખલન થયા બાદ મુંબઈ-પુણે કૉરિડોર પર ટ્રેન-સર્વિસ લગભગ એક અઠવાડિયા સુધી ખોરવાઈ ગયાના બનાવ બાદ આ પ્રસ્તાવ આવ્યો છે. કર્જત અને લોનાવલા વચ્ચે રેલવે-ટ્રૅકની પૅરૅલલ એવો આ પ્રસ્તાવિત રસ્તો બસ અને ઇમર્જન્સી વાહનોને ફસાયેલી ટ્રેનો સુધી પહોંચવા અને મુસાફરોને નજીકનાં સુલભ સ્થળોએ પહોંચાડવામાં મદદરૂપ થશે. એનાથી પીવાના પાણી, ખોરાક, દવાઓ અને અન્ય રાહતસામગ્રીનો પુરવઠો પણ સરળતાથી પહોંચાડી શકાશે તથા ઍમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમોને તાત્કાલિક સંભાળની જરૂર હોય એવા મુસાફરો સુધી પહોંચવાની મંજૂરી આપશે.
