આવો સવાલ થાણેમાં રહેતા ગુજરાતી પરિવારને થઈ રહ્યો છે : પરિવારના બધા સભ્યો ઘરમાં હોવા છતાં કબાટમાંથી સાડાત્રણ લાખ રૂપિયાના દાગીનાની થઈ ચોરી
ઝમીં ખા ગઈ યા આસમાં નિગલ ગયા
છેલ્લા એક વર્ષમાં થાણેમાં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે ત્યારે ચરઈ વિસ્તારમાં રહેતા એક ગુજરાતી પરિવારના ઘરમાં બધા હોવા છતાં સાડાત્રણ લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી. જોકે પોલીસનું કહેવું છે કે ઘરમાં બધા હોવા છતાં ચોરે કઈ રીતે ચોરીને અંજામ આપ્યો હશે એના પર અમને શંકા છે. અમે આસપાસની સોસાયટીઓના સીસીટીવી કૅમેરાઓનાં ફુટેજ ચેક કરી રહ્યા છીએ.
થાણેના ચરઈ વિસ્તારમાં આવેલા સુપરાજ અપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતાં ૫૪ વર્ષનાં ઊર્મિલા હસમુખ બોરીચાના ઘરમાં ૧૬ ઑક્ટોબરથી ૧૯ ઑક્ટોબર સુધીના સમયગાળા દરમ્યાન સાડાત્રણ લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી. ઊર્મિલાબહેને કરેલી ફરિયાદ અનુસાર ૧૬ ઑક્ટોબરે તેમણે પોતે પહેરેલું મંગળસૂત્ર કબાટમાં રાખ્યું હતું. એ પછી તેઓ ઘરકામમાં વ્યસ્ત થઈ ગયાં હતાં. ૧૯ ઑક્ટોબરે બપોરે કબાટમાં તેઓ સાડી રાખવા ગયાં ત્યારે તેમને કબાટના મેઇન લૉકરમાં કંઈક ગરબડ દેખાઈ હતી. તેમણે તરત લૉકર ખોલીને જોયું તો એમાં મૂકેલાં મંગળસૂત્ર, સોનાનો હાર, સોનાની બંગડી, સોનાની અંગૂઠી, સોનાની ચેઇન, પેડન્ટ વગેરે ન હોવાનું સામે આવ્યું હતું. તેમણે તરત એની જાણ પરિવારને કરી હતી અને નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
નૌપાડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘરમાં ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. તેમના ઘરમાં બહારથી માત્ર એક કામવાળી બપોરના સમયે આવતી હોય છે. એ સિવાય અન્ય કોઈ ઘરમાં આવતું નથી. જો બધા ઘરમાં હતા તો ચોરી કઈ રીતે થઈ એ બાબત અમે તપાસ કરી રહ્યા છીએ. એ સિવાય અમે આસપાસની સોસાયટીના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ ચેક કરી રહ્યા છીએ.’
ઘરમાં થયેલી ચોરી સંદર્ભે ‘મિડ-ડે’એ ઊર્મિલાબહેનનો સંપર્ક કર્યો હતો. જોકે તેમણે કહ્યું હતું કે મારી જે ફરિયાદ હતી એ મેં પોલીસ સ્ટેશનમાં નોંધાવી દીધી છે.