વિધાનસભામાં ગઈ કાલે જણાવવામાં આવ્યું કે હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળની સમિતિ ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે
ભારતીય ક્રિકેટર તિલક વર્મા ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમ્યાન વિધાનભવનની મુલાકાતે આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં સમાન યુનિફૉર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા વિશે મહાયુતિ સરકાર ૧૦૦ ટકા હકારાત્મક છે અને હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળની સમિતિ ડ્રાફ્ટ તૈયાર કરવા પર કામ કરી રહી છે એમ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન યોગેશ કદમે મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીનાં વિધાનસભ્ય દેવયાની ફરાંદે દ્વારા ટ્રિપલ તલાકનો સામનો કરી રહેલી મુસ્લિમ મહિલાઓ સાથે સંકળાયેલા કેસ વિશે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે છેલ્લા દોઢ મહિનામાં ત્રણ મુસ્લિમ મહિલાઓએ મદદ માટે તેમનો સંપર્ક કર્યો હતો. પોલીસે આરોપીઓ સામે કેસ નોંધ્યા, પરંતુ મહિલાઓને સંપૂર્ણ ન્યાય મળ્યો નથી. જવાબમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન યોગેશ કદમે જણાવ્યું હતું કે દરેક ધર્મ માટે સમાન લાગુ પડતા UCC બિલના અમલ માટે મહારાષ્ટ્ર સરકાર ૧૦૦ ટકા સકારાત્મક છે.
ADVERTISEMENT
સરકારી આંકડા મુજબ ટ્રિપલ તલાકની ૨૦૨૪માં મળેલી કુલ ૪૨ ફરિયાદો સાચી હોવાનું જાણવા મળ્યું જેના પગલે ૧૫૨ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ૨૦૨૫માં ૨૯ કેસ નોંધાયા હતા અને ૧૩૭ લોકો સામે કાર્યવાહી કરીને ૯૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
કિંગ એડવર્ડ ‘કિંગ કસબ’ હતો જેણે લાખો ભારતીયોની હત્યા કરી હતી : મંગલ પ્રભાત લોઢા
ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલનું નામ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એને ટેકો આપતું નિવેદન તેમણે વિધાનસભામાં આપ્યું હતું. તેમણે મંગળવારે બ્રિટિશ રાજા કિંગ એડવર્ડ, જેમના નામ પરથી KEM હૉસ્પિટલનું નામ રાખવામાં આવ્યું હતું, તેમને કિંગ કસબ કહ્યા અને તેમણે ભારતને લૂંટીને લાખો ભારતીયોની હત્યા કરી એવું પણ કહ્યું હતું. તેમણે કિંગ એડવર્ડને ટેકો આપનારાઓની નિંદા થવી જોઈએ એવું પણ જણાવ્યું હતું. જોકે ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું કે હૉસ્પિટલનું નામ બદલીને કૌશલ્ય શ્રેષ્ઠ એકલવ્ય મેમોરિયલ (KEM) કરવા વિશે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
વાઘ કે દીપડાના હુમલામાં મૃત્યુ થાય તો કુટુંબીજનોને પચીસ લાખ રૂપિયાનું વળતર, નોકરી અપાશે
વિદર્ભમાં પાંચ જિલ્લામાં વાઘના હુમલામાં લોકોનાં મૃત્યુ થયાની ઘટનાને ધ્યાનમાં લેતાં મહારાષ્ટ્ર સરકાર લોકો અને વન્યજીવો વચ્ચે થતો સંઘર્ષ ઓછો થાય એ માટે યોજના તૈયાર કરશે. દીપડા કે વાઘ જેવાં જંગલી પ્રાણીઓના હુમલામાં મોત થયું હોય તેમના કુટુંબીજનોને પચીસ લાખ રૂપિયાનું વળતર અને એક જણને નોકરી પણ આપશે એવી માહિતી વિધાનસભામાં રાજ્યના વન ખાતાના પ્રધાન ગણેશ નાઈકે મંગળવારે આપી હતી. આ સિવાય આગામી ૪૨ મહિનામાં વિદર્ભના બધા જ જિલ્લાઓમાં તાડોબા ટાઇગર રિઝર્વ જેવા જ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ખાનદેશના બધા જ જિલ્લાઓમાં લેપર્ડ સફારી વિકસાવવામાં આવશે એવી માહિતી મૉન્સૂન સેશન દરમ્યાન ગણેશ નાઈકે આપી હતી.
