મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી શિવસૈનિકોને કરેલા સંબોધનમાં કહ્યું હતું
ઉદ્ધવ ઠાકરે
બાળ ઠાકરેની ૯૬મી જન્મજયંતી નિમિત્તે તેમના પુત્ર અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હીમાં સત્તા મેળવીને બાળાસાહેબ ઠાકરેનું પૂતળું ઊભું કરવા માટે શિવસૈનિકોને ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધીની તમામ ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ કરવાનો સંદેશ આપ્યો હતો. શિવસેનાના મુખ્ય પ્રધાન છે એનો ફાયદો લઈને ગામેગામ સંગઠનને મજબૂત બનાવવા માટેના પ્રયાસ કરવા તેમણે કહ્યું હતું. બીજેપીએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એકલા હાથે લડવાની તૈયારી કરી છે એને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને તૈયાર રહેવું કહીને ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું હોવાનું કહેવાય છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી શિવસૈનિકોને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે ‘ડોકની શસ્ત્રક્રિયા બાદ હવે તબિયત સારી થવાથી ઘણા દિવસે તમારી સામે આવ્યો છું. કોરોના વાઇરસે રાજ્યભરની શિવસંપર્ક ઝુંબેશને બ્રેક મારી હતી. જોકે એક વાઇરસ લહેર લાવી શકે તો શિવસેનાના તેજની લહેર આપણે લાવવાની છે.’