૧ જુલાઈથી આવી નંબર-પ્લેટ વગરનાં વાહનને ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ થશે
પ્રતાપ સરનાઇક
રાજ્યનાં બધાં જ વાહનોની સુરક્ષા માટે અને ગુનેગારી પર લગામ તાણવા માટે રાજ્ય સરકારે હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) બેસાડવાનો નિર્ણય લઈને વારંવાર એ બેસાડવા માટે મુદત આપી હતી. છેલ્લે એ મુદત ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી હતી જે લંબાવીને હવે ૨૦૨૬ની ૩૦ જૂન કરવામાં આવી છે. એ મુદત ઘણી વાર લંબાવાઈ છે, હવે નહીં લંબાવવામાં આવે એવું સ્પષ્ટ નિવેદન રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે આપ્યું છે. ૨૦૧૯ની ૧ એપ્રિલ પહેલાં જે વાહનો રજિસ્ટર થયાં છે એ વાહનોએ HSRP બેસાડવી ફરજિયાત છે. પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘હજી પણ સમય છે, ૩૦ જૂન પહેલાં નંબરપ્લેટ ચેન્જ કરાવી લો. ૩૦ જૂન પછી એ માટે અમે વિશેષ ચકાસણી અભિયાન ચલાવવાના છીએ. ત્યાર બાદ નિયમોનું ઉલ્લંઘન કરીને HSRP ન બેસાડનાર વ્હીકલ-ઓનર્સને ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ થશે.’
પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે ‘વાહનચોરી રોકવા અને બનાવટી નંબરપ્લેટનો ઉપયોગ કરીને ગુનો આચરનારાઓ પર લગામ તાણવી એ આ HSRP લગાડવા પાછળનો મૂળ ઉદ્દેશ છે. HSRPને કારણે વાહનની આઇડેન્ટિટી વધુ સુરક્ષિત અને ટ્રાન્સપરન્ટ થશે.’
