વધુ ટ્રેનોને સમાવવા માટે એલટીટીનું અપગ્રેડેશન થઈ રહ્યું છે
એલટીટીનું અપગ્રેડેશન થઈ રહ્યું છે
કુર્લાના લોકમાન્ય ટિળક ટર્મિનસની ક્ષમતા વધારવાનું કામ શરૂ થયું છે એ સાથે સેન્ટ્રલ રેલવેએ બહારગામની ઘણી ટ્રેનો એક મહિના માટે થાણે અને પનવેલમાં જ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. એક વર્ષમાં એલટીટી પર બની રહેલાં બે નવાં પ્લૅટફૉર્મથી પૅસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોની મુંબઈ કનેક્ટિવિટી વધી જશે. નવાં પ્લૅટફૉર્મ બની ગયા પછી બહારગામની ટ્રેનોએ ઘાટકોપર અને વિદ્યાવિહારમાં રાહ જોવાની જરૂર નહીં પડે.
એલટીટી પર દરરોજ ૩૦ ટ્રેનો આવે છે અને એટલી જ ટ્રેનો જાય છે. કુર્લાથી વધુ ટ્રેનો ઉમેરવાનું કામ શરૂ થઈ ગયું છે. અત્યારે કુર્લા ટર્મિનસ પાંચ પ્લૅટફૉર્મ ધરાવે છે અને બન્ને તરફ ટ્રૅક્સ સાથેનું એક પ્લૅટફૉર્મ બની રહ્યું છે. એ પ્લૅટફૉર્મ ૬ અને ૭ નંબરનું હશે. આ લાઇન્સ બનાવવાના કામમાં ચાર સ્ટેબલિંગ લાઇન્સ શિફ્ટ કરવાનો પણ સમાવેશ છે અને આથી કુર્લા આવતી અને કુર્લાથી ઊપડતી ટ્રેનો ૧૨ ડિસેમ્બર સુધી પનવેલ અને થાણે શિફ્ટ કરવામાં આવી છે, એમ રેલવેના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
રેલવેની જમીન પ્રાપ્ય હોવાથી ક્ષમતા વિસ્તારવા માટે કુર્લા એલટીટી પ્રાથમિક પસંદગી હોવાનું રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)માં વધુ એક્સપ્રેસ ટ્રેનો સમાવી શકાય એમ ન હોવાથી પ્રથમ ૨૦૦૩માં સેન્ટ્રલ રેલવેએ એલટીટીનું વિસ્તરણ કર્યું હતું. ૨૦૦૬માં સ્ટેશનને વધુ અપગ્રેડ કરવાનું નક્કી કરાયું હતું. સેન્ટ્રલ રેલવેએ જર્જરિત ટર્મિનસના સ્થાને આધુનિક સ્ટેશન કૉમ્પ્લેક્સની ડિઝાઇનના બાંધકામને મંજૂરી આપી હતી. એમએમઆરડીએએ એલટીટીથી નવા બંધાયેલા સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ સુધી રૅમ્પ પણ બનાવ્યો હતો. નવા ટર્મિનસનું ઉદ્ઘાટન એપ્રિલ ૨૦૧૩માં તત્કાલીન રેલવેપ્રધાન પવનકુમાર બંસલે કર્યું હતું.
પ્રભાવિત થયેલી કેટલીક ટ્રેન-સર્વિસ
તિરુવનંતપુરમ-એલટીટી નેત્રાવતી એક્સપ્રેસ (૧૬૩૪૬) - ૧૧ ડિસેમ્બર સુધી પનવેલ સુધી જશે.
એલટીટી-તિરુવનંતપુરમ નેત્રાવતી એક્સપ્રેસ (૧૬૩૪૫) - ૧૩ ડિસેમ્બર સુધી પનવેલથી ઊપડશે.
મૅન્ગલોર સેન્ટ્રલ-એલટીટી મત્સ્યગંધા એક્સપ્રેસ (૧૨૬૨૦) - ૧૧ ડિસેમ્બર સુધી પનવેલ સુધી જશે.
એલટીટી-મૅન્ગલોર સેન્ટ્રલ મત્સ્યગંધા એક્સપ્રેસ (૧૨૬૧૯) - ૧૨ ડિસેમ્બર સુધી પનવેલથી ઊપડશે.
બરેલી-એલટીટી એક્સપ્રેસ (૧૪૩૧૪) ૧૨, ૧૯ અને ૨૬ નવેમ્બર તથા ત્રીજી અને દસમી ડિસેમ્બરે થાણેથી ઊપડશે અને થાણે સુધી સર્વિસ પૂરી પાડશે.
કામાખ્યા-એલટીટી એક્સપ્રેસ (૨૨૫૧૨) ૧૨, ૧૯ અને ૨૬ નવેમ્બર અને ત્રીજી અને દસમી ડિસેમ્બરે થાણેથી ઊપડશે અને થાણે સુધી સર્વિસ પૂરી પાડશે.
એલટીટી-કામાખ્યા એક્સપ્રેસ (૨૨૫૧૧) ૧૫, ૨૨, ૨૯ અને ૬ તથા ૧૩ ડિસેમ્બરે થાણેથી ઊપડશે અને થાણે આવશે.