ઍન્ટિ-ટેરરિઝમ સ્કવૉડ અને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપાઈ
હિન્દુ સિક્યૉરિટી ગાર્ડ્સ પર ચપ્પુથી હુમલો કરનાર આરોપી CCTV કૅમેરાના ફુટેજમાં દેખાયો હતો
મીરા રોડમાં હિન્દુ સિક્યૉરિટી ગાર્ડ્સને કલમા પઢવાની ફરજ પાડીને ચપ્પુથી હુમલો કરવાની ઘટનાને કોઈની ઉશ્કેરણી વગર જાતે જ કટ્ટરવાદી વલણ અપનાવાયું હોવાનો કેસ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગણાવ્યો હતો. આ કેસની પ્રાથમિક તપાસમાં આરોપી પાસેથી ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS)નું ઉશ્કેરણીજનક મટીરિયલ મળી આવ્યું હતું. આ કેસની તપાસ ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) અને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે.
મંગળવારે ATSએ અસ્મિતા રીજન્સી સોસાયટીમાં આવેલા તેના ઘર પર છાપો માર્યો હતો. પોલીસે કહ્યું હતું કે ‘જૈબ ઝુબેર અન્સારીની ધરપકડ વખતે તેની રૂમમાં એકલો બેઠો હતો. તેને સોસાયટીમાંથી બાવીસમી તારીખ સુધીમાં પોતાની રૂમ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એ સંદર્ભે તેને નોટિસ આપવામાં આવી હતી, કારણ કે ત્યાં તે એકલો રહેતો હતો.’
પૂછપરછ દરમ્યાન તેણે આરોપ લગાવ્યો હતો કે ‘કોઈ મને રૂમ ભાડે આપવા તૈયાર નથી, કોઈ મારી સાથે યોગ્ય વર્તન કરતું નથી અને કોઈ મારી સાથે આદરપૂર્વક વાત પણ કરતું નથી.’
ADVERTISEMENT
જોકે એની સામે અધિકારીએ જણાવ્યું હતું કે તેની પત્ની મૂળ અફઘાનની છે અને તેને છોડીને અમેરિકા ચાલી ગઈ છે.
તેના ફ્લૅટની તપાસ દરમ્યાન ATSને એક નોટ મળી હતી જેમાં લોન વુલ્ફ અટૅક અને ઇસ્લામિક સ્ટેટનો ઉલ્લેખ હતો. એક લૅપટૉપ અને કુરાનની ત્રણ નકલ મળી હતી. ATSને ૪ મે સુધી આરોપીની કસ્ટડી સોંપાઈ છે.
લોન વુલ્ફ પૅટર્ન બાબતે ATSની ઝીણવટભરી તપાસ
અત્યાર સુધીની તપાસમાં તે કોઈ આંતકવાદી સંગઠન સાથે જોડાયેલો હોય એવું કશું હાથ લાગ્યું નથી. તે કોઈને પણ જાણ ન થાય અને એકલો હુમલો કરે એવી (લોન વુલ્ફ) પૅટર્ન પર ચાલતો હોવાની શંકા છે છતાં ATS એના ડિજિટલ પુરાવા શોધી રહી છે. તેનો મોબાઇલ, બ્રાઉઝિંગ હિસ્ટરી, તેના કૉલ ડીટેલ રેકૉર્ડ્સ ચકાસી રહી છે. ATS એ જાણવા માગે છે કે તેના પર ઇન્ટરનેટ કન્ટેન્ટની અસર કેટલી હતી કે તેને કોઈ સંગઠન કે વ્યક્તિ દોરવણી આપી રહી હતી. શું તેને આવું કરવા માટે કોઈએ ગુપ્ત સંદેશો મોકલાવ્યો હતો કે પછી તે કોઈ એવા ક્લોઝ ગ્રુપ સાથે સંકળાયેલો હતો? પ્રાથમિક તપાસ બાદ પોલીસનું માનવું છે કે એકલતાને કારણ તેની માનિસકતા પર અસર થઈ હશે. તે ઇન્ટરનેટ પર ISIS અને એનાં જેવાં આતંકવાદી સંગઠોનોનું કન્ટેન્ટ જોતો હતો એથી એની અસર હેઠળ તેણે આ હુમલો કર્યો હોઈ શકે.
શું બન્યું હતું?
મીરા રોડ-ઈસ્ટમાં વૉકહાર્ટ હૉસ્પિટલ પાછળ આ હુમલો સોમવારે સવારે ૪ વાગ્યે અસ્મિતા ગ્રૅન્ડ મૅન્શન નજીક થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે બે સુરક્ષાગાર્ડ રાજકુમાર મિશ્રા અને સુબ્રતો સેન ફરજ પર હતા ત્યારે ઝૈબ ઝુબેર અન્સારી તેમની પાસે આવ્યો અને શરૂઆતમાં નજીકની મસ્જિદનો રસ્તો પૂછ્યો. તે થોડા સમય માટે ત્યાંથી ચાલ્યો ગયો અને પછી પાછો ફર્યા બાદ તેણે હુમલો કર્યો હતો. ઝૈબ અન્સારીએ પહેલાં એક ગાર્ડને તેના ધર્મ વિશે પૂછ્યું હતું અને પછી તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ તે કૅબિનમાં પ્રવેશ્યો અને બીજા ગાર્ડને કલમા પઢવાનું કહ્યું. જ્યારે ગાર્ડ ન બોલી શક્યો ત્યારે તેના પર પણ હુમલો કરીને ભાગી ગયો હતો. ચપ્પુથી હુમલો થતાં બન્ને સિક્યૉરિટી ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
