Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈકર્સને પાણીના ધાંધિયા! આવતીકાલથી પાણીના ટેન્કરોની હડતાળ, લાખો થશે પરેશાન

મુંબઈકર્સને પાણીના ધાંધિયા! આવતીકાલથી પાણીના ટેન્કરોની હડતાળ, લાખો થશે પરેશાન

Published : 06 June, 2026 12:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Water Tanker Strike: મુંબઈના વોટર ટેન્કર સંચાલકો ભૂગર્ભજળ નિષ્કર્ષણ અને CGWA નિયમો સાથે જોડાયેલી કાર્યવાહીનો વિરોધ કરતા ૭ જૂનથી હડતાળ પર; હાઉસિંગ સોસાયટીઓ, વાણિજ્યિક સંસ્થાઓ અને ટેન્કર ડિલિવરી પર આધાર રાખતા ઉદ્યોગોને પાણી પુરવઠો ખોરવાશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈ (Mumbai)માં આવતીકાલથી એટલે કે, ૭ જૂનથી પાણીના પુરવઠામાં મોટી કટોકટી (Mumbai Water Crisis) સર્જાઈ શકે છે. `મુંબઈ વોટર ટેન્કર એસોસિએશન` (Mumbai Water Tanker Association)એ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (Central Ground Water Authority - CGWA)ના નિયમોના કડક અને પક્ષપાતી અમલીકરણનો વિરોધ કરીને સમગ્ર શહેરમાં પાણીના પરિવહનની સેવાઓ અચોક્કસ મુદત માટે સ્થગિત (Mumbai Water Tanker Strike) કરવાની જાહેરાત કરી છે.

શુક્રવારે જારી કરાયેલી એક તાકીદની નોટિસમાં એસોસિએશને જણાવ્યું છે કે, મુંબઈભરના તમામ વોટર ટેન્કર ઓપરેટરો ૭ જૂનની રાત્રે ૧૨ વાગ્યાથી પોતાના વાહનો રસ્તા પરથી હટાવી લેશે અને આગામી આદેશ સુધી કામકાજ સંપૂર્ણપણે બંધ રાખશે.



હડતાળના કારણે કોને-કોને અસર થવાની શક્યતા છે?


આ નિર્ણયના કારણે એવા તમામ હાઉસિંગ સોસાયટીઓ, વ્યાપારી સંસ્થાઓ, હોસ્પિટલો, ઉદ્યોગો અને અન્ય ગ્રાહકોને મોટો ફટકો પડશે જેઓ પોતાની રોજિંદી પાણીની જરૂરિયાતો માટે ખાનગી વોટર ટેન્કરો પર મોટા પ્રમાણમાં નિર્ભર છે.

એસોસિએશનના જણાવ્યા અનુસાર, સીજીડબ્લ્યુએ (CGWA) ના નિયમો માત્ર મુંબઈ ડિવિઝનમાં જ પક્ષપાતી રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ટેન્કર ઓપરેટરો, કુવાના માલિકો, રિંગ-વેલ ઓપરેટરો, બોરવેલ માલિકો, આરઓ (RO) પ્લાન્ટ ઓપરેટરો અને પાણીના સપ્લાયરો પર ખૂબ જ માઠી અસર પડી રહી છે. એસોસિએશને ભારપૂર્વક જણાવ્યું છે કે આ ટેન્કર ઉદ્યોગ છેલ્લા ૮૦ કરતાં વધુ વર્ષોથી મુંબઈની સેવા કરી રહ્યો છે અને લાખો નાગરિકો સુધી પાણી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં પાણીની અછત હોય અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો પુરવઠો પૂરતો ન હોય.


અમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી: મુંબઈ વોટર ટેન્કર એસોસિએશન

બીજી તરફ, ઓપરેટરોનો આક્ષેપ છે કે તાજેતરના નિયમનકારી પગલાંઓએ સમગ્ર ક્ષેત્રને ભારે દબાણ હેઠળ લાવી દીધું છે, જેના કારણે આ વ્યવસાય ચાલુ રાખવો અશક્ય બની ગયો છે. એસોસિએશને પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘પરિણામે, અમારી પાસે અમારો આ વર્ષો જૂનો વેપાર બંધ કરવા અને સંબંધિત સત્તાવાળાઓ સાથે કોઈ વ્યવહારુ અને ન્યાયી ઉકેલ ન આવે ત્યાં સુધી તમામ પાણી પરિવહન સેવાઓ અચોક્કસ મુદત માટે સ્થગિત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.’

ટેન્કર ઓપરેટરોએ નાગરિકોને થનારી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે અને સરકાર તેમજ સંબંધિત વિભાગોને આ મામલે તાકીદે હસ્તક્ષેપ કરીને સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી છે.

આ સૂચિત હડતાળની મુંબઈ પર વ્યાપક અસરો પડી શકે છે, કારણ કે ઉનાળાના મહિનાઓમાં અને વધુ માંગના સમયગાળા દરમિયાન હજારો રહેણાંક સોસાયટીઓ, બાંધકામ સાઇટો, હોટેલો, રેસ્ટોરન્ટ્સ, આરોગ્ય સંભાળ કેન્દ્રો અને ઔદ્યોગિક એકમો ટેન્કરના પાણી પર જ નિર્ભર હોય છે.

આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે શહેર ચોમાસાના આગમનની તૈયારી કરી રહ્યું છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ખાનગી ટેન્કર સપ્લાય ખોરવાવાના કારણે પાણીની ઉપલબ્ધતા અંગે ચિંતા વધી ગઈ છે.

હાલમાં આ હડતાળના આહવાન પર સત્તાવાળાઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ જો જાહેરાત મુજબ જ કામકાજ બંધ રહેશે, તો મુંબઈ મેટ્રોપોલિટન રીજન (Mumbai Metropolitan Region)ના કેટલાક ભાગોમાં પાણીની ભારે અછત સર્જાઈ શકે છે અને લાખો રહેવાસીઓનું રોજિંદું જીવન પ્રભાવિત થઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK