News in Shorts: શિવરાત્રિએ બાબુલનાથ મંદિર જવા માટે BEST વધારાની બસો દોડાવશે; ગોરેગામમાં ગોકુલધામ વિસ્તારની ઇમારતમાં આગ અને વધુ સમાચાર
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ફેબ્રુઆરીમાં ૩ દિવસ ડ્રાય ડે માટે તૈયાર રહેજો. આવતી કાલે ૧૫ ફેબ્રુઆરીએ શિવરાત્રિએ મુંબઈમાં ડ્રાય ડે રહેશે. એ ઉપરાંત ૧૯ ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજ જયંતી અને ૨૩ ફેબ્રુઆરીએ સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી નિમિત્તે મુંબઈમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ હશે. એ દરમ્યાન વાઇન શૉપ, બાર, પબ, હોટેલ અને રેસ્ટોરાંમાં દારૂના વેચાણ અને સર્વ કરવા પર પ્રતિબંધ હશે.
શિવરાત્રિએ બાબુલનાથ મંદિર જવા માટે BEST વધારાની બસો દોડાવશે
ADVERTISEMENT
BESTએ મહાશિવરાત્રિ નિમિત્તે બાબુલનાથ મંદિર જવા માટે વધારાની બસ દોડાવવાની જાહેરાત કરી છે. બાબુલનાથ મંદિરમાં આવતા ભક્તોની સુવિધા માટે રવિવારે સવારે ૭થી સાંજે ૭ વાગ્યા સુધી રૂટ નંબર ૫૭, ૬૭ અને ૧૦૩ની વધારાની બસો દોડાવવામાં આવશે.
નૅશનલ પાર્કમાં કાન્હેરી કૅવ્ઝ માટે BESTની બસો થઈ બંધ
બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશ મુજબ સંજય ગાંધી નૅશનલ પાર્કમાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગે કાન્હેરી કૅવ્ઝ જતી રૂટ નંબર A188 ઍર-કન્ડિશનર (AC) બસ સર્વિસ બંધ કરી દીધી છે. નૅશનલ પાર્કમાં પર્યાવરણનું સંતુલન જળવાય અને વન્ય જીવોનું રક્ષણ થાય એ માટેના પગલારૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નૅશનલ પાર્કના અધિકારીઓએ જણાવ્યું હતું.
વૅલેન્ટાઇન્સ ડેનું ફોટોશૂટ કરાવવું છે?

તસવીર: નિમેશ દવે
વિલ યુ બી માય વૅલેન્ટાઇન? પૂછવા માટે આટલાં બધાં હાર્ટ્સ બલૂન સાથેની ઓપન જીપ મળે તો એ મોમેન્ટ મેમોરેબલ બની જાય. લોખંડવાલા કૉમ્પ્લેક્સના પાછળના રોડ પર કાર-ડીલર આરિફ ખાન તેમની ડેકોરેટેડ ઓપન જીપ સાથે દેખાયા હતા. કપલ્સ માટે વૅલેન્ટાઇન્સ ડેનું પ્રપોઝલ યુનિક બને એ માટે જીપ ડેકોરેટ કરી હોવાનું આરિફ ખાને જણાવ્યું હતું.
નૉન-ઍડિક્ટેડ પાર્ટનર જ પસંદ કરજો

તસવીર: અતુલ કાંબળે
નાર્કોટિક્સ કન્ટ્રોલ બોર્ડે વૅલેન્ટાઇન્સ ડે પર પાર્ટનર પસંદ કરવા માટે એક ખાસ સલાહ આપી હતી. કોઈ વ્યસન ન હોય એવો નૉન-ઍડિક્ટેડ પાર્ટનર પસંદ કરીને બન્નેએ હેલ્ધી અને ખુશખુશાલ જીવન જીવવું એવો સંદેશ આપવામાં આવ્યો હતો. મરીન લાઇન્સ પર લોકોને આ વિશે જાગૃત કરવા માટે ઘોડાનો વેશ ધારણ કરીને એક નાટિકા ભજવીને યંગસ્ટર્સે વ્યસનમુક્ત રહેવાનું મહત્ત્વ સમજાવ્યું હતું.
વર્કશૉપમાં લાગી ડબલ-ડેકર કોચમાં આગ

વેસ્ટર્ન રેલવેની લોઅર પરેલ વર્કશૉપમાં લાંબા અંતરની ટ્રેનના ડબલ-ડેકર કોચમાં આગ લાગી હતી. જોકે આગ વધુ ફેલાતાં અટકાવીને અડધા કલાકમાં એને કાબૂમાં લેવામાં આવી હતી. રેલવે અધિકારીના જણાવવા મુજબ આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. આગ સવારે ૧૧.૧૪ વાગ્યે લાગી હતી અને ૧૧.૪૦ વાગ્યે એને કાબૂમાં લેવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.
ગોરેગામમાં ગોકુલધામ વિસ્તારની ઇમારતમાં આગ

ગોરેગામ-ઈસ્ટના ગોકુલધામ વિસ્તારમાં આવેલા કૃષ્ણવાટિકા રોડ પર ૪૫ માળના ડીબી વુડ બિલ્ડિંગના નવમા માળે આવેલા એક ફ્લૅટમાં ગઈ કાલે સવારે ૯.૧૧ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ બિલ્ડિંગના રહેવાસીઓ રેફ્યુજ એરિયામાં અને ટેરેસ પર ચાલ્યા ગયા હતા. ફાયર-બ્રિગેડે બિલ્ડિંગમાં લગાડેલી ફાયર-ફાઇટિંગ સિસ્ટમ અને તેમના હોઝ પાઇપથી ૧૦.૧૭ વાગ્યે આગ ઓલવી નાખી હતી. એ પછી કૂલિંગ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. આ આગમાં ફ્લૅટની ઘરવખરી, ફર્નિચર, ઇલેક્ટ્રિક વાયરિંગ વગેરે બળીને ખાખ થઈ ગયું હતું. સદ્નસીબે આગમાં કોઈ ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી.


