Thane Fire: જિયો મોબાઇલ ટાવરમાં આગના તણખા દેખાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મોબાઈલ ટાવરમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો.
થાણેમાંથી આજે સવારે આગ લાગવાની એક ઘટના (Thane Fire) સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર થાણે (પૂર્વ)ના કોપરીમાં થાણે રેલ્વે સ્ટેશન પાસે આનંદ સિનેમાના પરિસરમાં આવેલ જિયો મોબાઇલ ટાવરમાં આગના તણખા દેખાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સવારે ૮.૧૪ વાગ્યાની આસપાસ આ આગ લાગી હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (MSEDCL) જિયો, કોપરી પોલીસ, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગને કાબૂ (Thane Fire)માં લેવા માટે ફાયરબ્રિગેડની એક ગાડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમ અને આપત્તિ વ્યવસ્થાપનના કર્મચારીઓએ તાબડતોબ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. લગભગ નવ વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હતી.
ADVERTISEMENT
હાલ પરિસ્થિતિ થાળે પડી ગઈ છે
અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ પર કાબૂમાં (Thane Fire) લેવામાં આવ્યો છે. આગ વધારે વકરે એ પહેલાં જ એને ઓલવી દેવાઈ હતી. પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી.
થાણેમાં દિવાલ ધરાશાયી થતાં આઠ વેહિકલ ક્ષતિગ્રસ્ત
થાણેની જ એક અન્ય દુર્ઘટનાની વાત કરવામાં આવે તો ગુરુવારે મોડી રાત્રે થાણેમાં એક ખુલ્લા પ્લોટની દીવાલ તૂટી પડી હતી. આ બનાવમાં આઠ વાહનોને નુકસાન થયું હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું. પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં રો ટેનમેન્ટ પાસે પાર્ક કરેલા વેહિકલ પર કમ્પાઉન્ડ વૉલ ધસી પડી હતી. તેમણે જણાવ્યું હતું કે આ હાદસામાં કુલ સાત ઓટો-રિક્ષા અને એક મોટરસાયકલને નુકસાન થયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને રાત્રે 12.34 વાગ્યે સ્થાનિક રહેવાસીએ આ ઘટના અંગે માહિતી આપી હતી. અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા. ધરાશાયી થયેલ દીવાલ એક પ્લોટની કમ્પાઉન્ડ વૉલ હતી. લગભગ 7 ફૂટ ઊંચી અને 10 ફૂટ લાંબી આ દીવાલ ધરાશાયી થવાથી ત્યાં પાર્ક કરેલ વેહિકલને નુકસાન થયું હતું.
માહિતી મળતાં જ ઇમર્જન્સી સેવા આપતી ટીમો (Thane Fire) ત્યાં આવી ગઈ હતી. રેસ્ક્યૂ અને અગ્નિશામક દળના જવાનોએ તૂટી પડેલી દિવાલના કાટમાળને દૂર કર્યો હતો અને વેહિકલ્સને બહાર કાઢ્યા હતા. ટ્રાફિકની અવરજવરને પણ આ સમયે અસર થઈ હતી. પરંતુ કાટમાળ હટાવી દેવાયા બાદ પરિસ્થિતિ થાળે પડી ગઈ હતી.
હાલમાં, મુંબઈમાં મોન્સૂન બેસી ગયું હોઇ આવી ઘટનાઓ બનવી સ્વાભાવિક છે તેથી જ બીએમસીએ લોકોને જૂની અને ખખડધજ સ્ટ્રક્ચરની બાજુમાં વાહનો પાર્ક ન કરવાની ભલામણ કરી છે.
