મુંબઈના પાયધુની વિસ્તારમાં એક જ પરિવારના ૪ સભ્યોએ રાત્રે તરબૂચ ખાધા બાદ જીવ ગુમાવ્યો એવો કેસ ઓડિશાના કેન્દ્રપાડામાં બન્યો છે.
સ્વાધિન સેનાપતિ
મુંબઈના પાયધુની વિસ્તારમાં એક જ પરિવારના ૪ સભ્યોએ રાત્રે તરબૂચ ખાધા બાદ જીવ ગુમાવ્યો એવો કેસ ઓડિશાના કેન્દ્રપાડામાં બન્યો છે. ત્યાં સ્વાધિન સેનાપતિ નામના એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો હતો અને તેના પરિવારના પાંચ સભ્યોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે સમગ્ર ગામમાં ભય અને ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે.
કેન્દ્રપાડા જિલ્લાના કુપુની ગામમાં એક પરિવારે ગુરુવારે રાત્રે તરબૂચ ખાધું હતું. તરબૂચ ખાધા પછી શંકાસ્પદ ફૂડ-પૉઇઝનિંગને કારણે પરિવારના ૬ સભ્યો અસ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા અને તેમને ઊલટી, ઝાડા અને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. તેમની તબિયત વધુ ખરાબ થતી જોઈને તેમને તાત્કાલિક કેન્દ્રપાડા જિલ્લા મુખ્ય હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ૩ દરદીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે બે અન્ય લોકોની તબિયત વધુ ખરાબ થતાં તેમને કટક રિફર કરવામાં આવ્યા હતા. આ પરિવારની સભ્ય ચારુલતા સેનાપતિએ જણાવ્યું હતું કે રાત્રે તરબૂચ ખાધા પછી સવારે ટ્યુશનથી પાછાં ફરતાં બાળકોની તબિયત બગડી હતી.
આ સંદર્ભમાં કેન્દ્રપાડા જિલ્લા હૉસ્પિટલના ડૉ. અંબિકા પ્રસાદ નાયકે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં આ ફૂડ-પૉઇઝનિંગનો કેસ છે અને સારવાર હેઠળના દરદીઓની હાલત સ્થિર છે. આ ઘટના બાદ આરોગ્ય વિભાગે ફૂડ-પૉઇઝનિંગ કેવી રીતે થયું એ નક્કી કરવા તપાસ શરૂ કરી છે.
