અરવિંદ કેજરીવાલે જનતાને પૂછ્યુંઃ શું તમે સહમત છો કે દેશને શિક્ષિત વડા પ્રધાનની સખત જરૂર છે? BJPએ કહ્યું, નરેન્દ્ર મોદી પોસ્ટ-ગ્રૅજ્યુએટ છે
અરવિંદ કેજરીવાલ
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર-લીકના મામલે કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે દેશની જનતાને સંબોધીને રિલીઝ કરેલા ૨૮ સેકન્ડના વિડિયોમાં પૂછ્યું હતું કે શું તમને પણ લાગે છે કે ભારતને શિક્ષિત વડા પ્રધાનની સખત જરૂર છે? એના જવાબમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અમિત માલવીયએ જવાબ આપ્યો હતે કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પોસ્ટ-ગ્રૅજ્યુએટ ડિગ્રી છે, પરંતુ ખરો મુદ્દો આ નથી. કેજરીવાલ જેવા લોકો એ વાત સ્વીકારી શકતા નથી કે સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી કોઈ વ્યક્તિ ભારતના સર્વોચ્ચ ચૂંટાયેલા પદ પર કેવી રીતે પહોંચી છે અને આટલાં વર્ષોથી કેમ સત્તામાં છે. ભારતનો રાજકીય ઇતિહાસ એવાં ઉદાહરણોથી ભરેલો છે જે સાબિત કરે છે કે નેતૃત્વ ફક્ત ડિગ્રી દ્વારા નક્કી થતું નથી. બીજી બાજુ ઘણા લોકો જેઓ ગર્વથી પોતાની શૈક્ષણિક લાયકાતનો દાવો કરે છે તેમની પાસે જાહેર જીવનમાં બતાવવા માટે બહુ ઓછું હોય છે. અરવિંદ કેજરીવાલ પોતાની શૈક્ષણિક લાયકાતની જાહેરાત કરતા થાકતા નથી, પણ તેમણે ભ્રષ્ટાચારના આરોપો અને વહીવટી નિષ્ફળતાઓમાં ફસાયેલી સરકાર છોડી હતી જેને કારણે તેમણે પોતાની બેઠક અને દિલ્હી પરની તેમની પાર્ટીની પકડ બન્ને ગુમાવી દીધી હતી.’
