બાકાત થયેલા ૪૭.૭ લાખ મતદારોને ‘અૅબ્સન્ટ, ટ્રાન્સફર્ડ, ડેડ, ડુપ્લિકેટ ઍન્ડ અધર્સ’ (ASDDO) શ્રેણીમાં ‘અનકલેક્ટેબલ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ મતદારોનો ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પછી ડ્રાફ્ટ મતદારયાદી બહાર પાડવામાં આવી છે અને એમાં શહેરના ૧.૪૫ કરોડ મતદારોમાંથી ૪૭.૭ લાખનાં નામ બાકાત રાખવામાં આવ્યાં છે. આમ લગભગ દર ત્રણમાંથી એકનું નામ નીકળી ગયું છે. દિલ્હીના ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં ૯૭.૫ લાખ મતદારોનાં નામ સામેલ છે.
જે લોકોનાં નામ બાકાત છે તેઓ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ફૉર્મ ૬ દ્વારા સહાયક દસ્તાવેજો સાથે નામના સમાવેશ માટે અરજી કરી શકે છે. આ મુદ્દે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી અશોક કુમારે જણાવ્યું હતું કે સબમિટ કરાયેલા દાવાઓ અને વાંધાઓની તપાસ કરવામાં આવશે અને નોટિસ અને સમાધાન-પ્રક્રિયા ૨૯ ઑક્ટોબર સુધી ચાલુ રહેશે. ફાઇનલ વોટર લિસ્ટ ૪ નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
દેશમાં સૌથી વધારે
દિલ્હીમાં ડ્રાફ્ટ તબક્કામાં SIRમાં ૩૩ ટકા મતદારોને બાકાત રાખવામાં આવ્યા છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ મતદારોને બાકાત કરવાની આ પહેલી ઘટના છે. આ પહેલાં ઝારખંડમાં ૪૩ લાખ મતદારોનાં નામ કાઢી નાખવામાં આવ્યા હતાં. દિલ્હીમાં ૪૭ લાખથી વધુ મતદારોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે. આ મુદ્દે મતદાન-અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની હોવાથી મોટી સંખ્યામાં ફ્લોટિંગ વસ્તી છે, જેથી તેમનાં નામ નીકળી ગયાં હશે.
