વંદે ભારત ટ્રેનોમાં શરૂ કરવામાં આવ્યો ઇમર્જન્સી ક્વોટા
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રેલવેએ અમૃત ભારત અને વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં ઇમર્જન્સી ક્વોટા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડે આ સંદર્ભમાં એક આદેશ જાહેર કર્યો છે, જેનાથી મુસાફરોને અચાનક મુસાફરી કરવાની જરૂર પડે તો તેમને સીટ અથવા બર્થ મળવાની શક્યતા વધી જશે.
અત્યાર સુધી આ ટ્રેનોમાં ફક્ત મહિલા ક્વોટા, દિવ્યાંગ ક્વોટા, સિનિયર સિટિઝન ક્વોટા અને ડ્યુટી પાસ ક્વોટા લાગુ પડતા હતા. જોકે હવે ખાસ પરિસ્થિતિમાં મુસાફરો માટે એક અલગ ઇમર્જન્સી ક્વોટા સ્થાપિત કરવામાં આવશે, જે જરૂરિયાત મુજબ ઍડ્જસ્ટ કરી શકાશે. ઇમર્જન્સી ક્વોટા હેઠળની બેઠકો ફક્ત અમુક વ્યક્તિઓ અથવા તેમના દ્વારા ભલામણ કરાયેલા મુસાફરો માટે જ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
અમૃત ભારત ટ્રેનોમાં ઇમર્જન્સી ક્વોટા
રેલવે બોર્ડના આદેશ મુજબ ૭ કે એથી વધુ સ્લીપર કોચ ધરાવતી અમૃત ભારત ટ્રેનો માટે ૨૪ બર્થનો ઇમર્જન્સી ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. આનો હેતુ અચાનક મુસાફરી કરતા મુસાફરો માટે ટિકિટ ઉપલબ્ધ કરાવવાનો છે.
વંદે ભારત ટ્રેનોમાં ઇમર્જન્સી ક્વોટા
વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં વિવિધ વર્ગો માટે ઇમર્જન્સી ક્વોટા અલગ-અલગ નક્કી કરવામાં આવ્યો છે. ફર્સ્ટ AC (ઍર-કન્ડિશન્ડ)માં અઠવાડિયાના દિવસોમાં ૪ બર્થ અને વીક-એન્ડમાં ૬ બર્થનો ક્વોટા રહેશે. સેકન્ડ ACમાં અઠવાડિયાના દિવસોમાં ૨૦ બર્થ અને વીક-એન્ડમાં ૩૦ બર્થનો ક્વોટા રહેશે. થર્ડ ACમાં અઠવાડિયાના દિવસોમાં ૨૪ બર્થ અને વીક-એન્ડમાં ૪૨ બર્થનો ઇમર્જન્સી ક્વોટા રહેશે.
ક્યારે અમલમાં આવશે?
રેલવેના જણાવ્યા અનુસાર આ ઇમર્જન્સી ક્વોટા ઍડ્વાન્સ રિઝર્વેશન પિરિયડ અથવા નો-બુકિંગ તારીખ જે પણ પહેલાં હોય એ તારીખથી લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે સિસ્ટમમાં ટિકિટ-બુકિંગ શરૂ થવાની સાથે જ આ ક્વોટા હેઠળની બેઠકો આરક્ષિત કરવામાં આવશે.
આ નિર્ણય શા માટે મહત્ત્વપૂર્ણ?
આ નિર્ણયથી મુસાફરોને અચાનક મુસાફરી કરવી પડે તો ટિકિટ મળવાની શક્યતા વધી જશે. ખાસ જરૂરિયાતો ધરાવતા મુસાફરોને નોંધપાત્ર રાહત મળશે અને રેલવે પણ ડિમાન્ડ અનુસાર ક્વોટામાં બદલાવ કરી શકશે. રેલવે બોર્ડે જણાવ્યું છે કે ઝોનલ રેલવે સીટની ઉપલબ્ધતા અને જરૂરિયાતોના આધારે ઇમર્જન્સી ક્વોટાને ઍડ્જસ્ટ કરી શકે છે.


