અમિત શાહે ખેડૂતોના નેતાઓ સાથે ફોન પર વાત કરી હતી
અમિત શાહ
સંયુક્ત કિસાન મોરચાએ ખેડૂતોને સંબંધિત મુદ્દાઓ પર કેન્દ્ર સરકારની સાથે વાતચીત કરવા માટે પાંચ સભ્યોની એક કમિટીની રચના કરી છે.
એના કન્વીનર રાકેશ ટિકૈતે ગઈ કાલે કહ્યું હતું કે ‘સરકારની સાથે વાત કરવા માટે આ ઑથોરાઇઝ્ડ કમિટી રહેશે જેમાં બલબીર સિંહ રાજેવાલ, શિવકુમાર કક્કા, ગુરનામ સિંહ ચરુની, યુદ્ધવીર સિંહ અને અશોક ધવલે સામેલ રહેશે.’
ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓને રદ કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ખેડૂતોના બાકી રહેલા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે શુક્રવારે રાત્રે ખેડૂત નેતાઓની સાથે ફોન પર વાતચીત કરી હતી. ખેડૂત નેતા યુદ્ધવીર સિંઘે જણાવ્યું હતું કે ‘અમિત શાહે શુક્રવારે રાત્રે કૉલ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કાયદાઓ પાછા ખેંચવામાં આવ્યા છે અને સરકાર ચાલી રહેલા આંદોલનનો ઉકેલ લાવવા બાબતે ગંભીર છે. ગૃહ પ્રધાન ઇચ્છતા હતા કે સરકારની સાથે વાતચીત કરવા માટે અમે કમિટી બનાવીએ, એટલે આખરે અમે કમિટી બનાવી.’