હવાથી જમીન પર ૩૦૦ કિલોમીટર સુધી હુમલો કરશે અને દુશ્મનની ઍર ડિફેન્સ સિસ્ટમનું રડાર બંધ હશે તોય ખોળીને ખાતમો બોલાવશે
ઇન્ડિયન ઍર ફોર્સના જેટમાંથી છોડવામાં આવેલી ઍર-ટુ-સર્ફેસ મિસાઇલ રુદ્રમ-ટૂ.
ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇજેશન (DRDO)એ મંગળવારે ઍન્ટિ-રેડિયેશન મિસાઇલ રુદ્રમ-ટૂનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ વાયુસેનાના સુખોઈ Su-30MKI ફાઇટર જેટથી કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ હવામાંથી જમીન પર ૩૦૦ કિલોમીટર સુધીની રેન્જમાં દુશ્મનને ખતમ કરશે. રુદ્રમ-ટૂ મિસાઇલ દુશ્મનનાં ઍર ડિફેન્સ સિસ્ટમ, રડાર અને કમ્યુનિકેશન સિસ્ટમના નેટવર્કનો નાશ કરવા માટે બનાવાઈ છે. આ મિસાઇલ દુશ્મનનું રડાર બંધ હશે તો પણ એને શોધીને ખતમ કરી શકે એટલી સક્ષમ છે.
ગોરેગામથી બોરીવલી વચ્ચે હાર્બર લાઇન એક્સપાન્શનનું કામ એક ડગલું વધ્યું: વેસ્ટર્ન રેલવેએ સિવિલ વર્ક્સ માટે ૮૬.૫૧ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું
ADVERTISEMENT
ગોરેગામ અને બોરીવલી વચ્ચે લાંબા સમયથી પેન્ડિંગ હાર્બર લાઇન એક્સપાન્શનને નવી ગતિ મળી છે. વેસ્ટર્ન રેલવેએ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP)-3A હેઠળ મુખ્ય સિવિલ વર્ક્સ પૅકેજ માટે ૮૬.૫૧ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે. હાર્બર લાઇન એક્સપાન્શન કૉરિડોર માટે જરૂરી માટીકામ, મોટા અને નાના પુલ, સાઇડ ડ્રેઇન, રીટેનિંગ સ્ટ્રક્ચર અને બાઉન્ડરી-વૉલનું બાંધકામ આવરી લેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ બે મોટા પુલ અને ૧૬ નાના પુલ અલાઇનમેન્ટ સાથે આયોજન કરવામાં આવ્યા છે. ૪ એન્જિનિયરિંગ-સ્કેલ યોજનાઓ હાલમાં મંજૂરીની રાહ જોઈ રહી છે, જ્યારે અનેક પુલનાં સ્ટ્રક્ચર્સ માટે ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માટે કુલ ૩૬૮૮ ચોરસ મીટર જમીનની જરૂર છે, જેમાં ૩૩૮૯ ચોરસ મીટર પ્રાઇવેટ જમીન અને ૨૯૯ ચોરસ મીટર સરકારી જમીનનો સમાવેશ થાય છે. અધિકારીઓએ ૫૨૦ પ્રોજેક્ટ-અફેક્ટેડ પીપલ (PAP)ની ઓળખ કરી છે, જેમાંથી ૧૭૮ને પહેલેથી જ રીહૅબિલિટેશન યુનિટ ફાળવવામાં આવ્યાં છે. વધુમાં પ્રાઇવેટ જમીન પર રહેતા ૧૪૧ પરિવારો પ્રોજેક્ટથી પ્રભાવિત થવાની અપેક્ષા છે.
મૉન્સૂન માથા પર ને મીઠી નદીની સફાઈ હજી ૩૦ ટકા જેટલી બાકી
૩૧ મેની ડેડલાઇનમાં નાનાં-મોટાં નાળાંઓ તો સાફ થયાં પણ મીઠી નદીને સાફ કરવામાં ૧૦ જૂન સુધીનો સમય લાગશે
ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે નદી-નાળાંની સફાઈ કરવાની ડેડલાઇન પૂરી થઈ ગઈ છે. પ્રી-મૉન્સૂન વરસાદ તો શરૂ પણ થઈ ગયો છે અને સત્તાવાર ચોમાસું શરૂ થવામાં જ છે છતાં મીઠી નદીમાંથી કાદવ કાઢવાનું કામ માત્ર ૭૦ ટકા પૂર્ણ થયું છે. ૩૧ મેએ BMC માટે મૉન્સૂન પહેલાંનો કાદવ કાઢવાનો અને રસ્તાનાં કામો બંધ કરવાનો છેલ્લો દિવસ માનવામાં આવે છે. જોકે સમયમર્યાદા ચૂકી જવા છતાં BMCએ ૧૦ જૂન સુધીમાં મીઠી નદીમાંથી કાદવ કાઢવાનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે જેનાથી નદી-નાળાંની સફાઈનો BMCનો લક્ષ્યાંક ૧૦૦ ટકા પૂરો થશે.
મૉન્સૂનની રાહ જોતા મુંબઈગરા પરસેવે રેબઝેબ
મૉન્સૂનની કાગડોળે પ્રતીક્ષા કરી રહેલા મુંબઈગરા ઊંચો પારો અને સાથે ભેજ હોવાથી પરેસેવે રેબઝેબ થઈ રહ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહેતાં બફારો વધારે અનુભવાય છે. હવામાન ખાતાનું કહેવું છે કે આવનારા બે દિવસ મુંબઈ સહિત પાલઘર, થાણે, રાયગડ અને કોકણ પટ્ટામાં પ્રી-મૉન્સૂન હળવાં ઝાપટાં પડવાની શક્યતા છે અને એથી આ વિસ્તારમાં યલો અલર્ટ પણ જાહેર કર્યું છે પણ ગરમી ઓછી થવાના કોઈ સંકેત નથી. ગઈ કાલે સાંતાક્રુઝમાં મૅક્સિમમ તાપમાન ૩૬.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાનું કહેવું છે કે આજે દિવસ દરમ્યાન મુંબઈ અને સબર્બ્સમાં વાદળો છવાયેલાં રહેશે, રાતના સમયે વરસાદનાં ઝાપટાં આવી શકે છે. બીજું, જે સાઉથ વેસ્ટ મૉન્સૂન ૨૬ મે સુધીમાં કેરલમ પહોંચી જવાનું હતું એ હજી સુધી કેરલમ નથી પહોંચ્યું. કેરલમ પહોંચ્યાના ૧૦ દિવસ બાદ મૉન્સૂન મુંબઈ પહોંચતું હોય છે. એથી હજી થોડા દિવસ મુંબઈગરાઓએ ગરમીનો ત્રાસ સહન કરવો પડે એવા આસાર લાગી રહ્યા છે.
બુલેટ ટ્રેન માટે બોઇસર અને વાપી વચ્ચે ત્રીજી માઉન્ટન ટનલ ઓપન કરવામાં આવી
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે બોઇસર અને વાપી વચ્ચેની ત્રીજી ૪૧૭ મીટર લાંબી અને ૧૪.૪ મીટર પહોળી ટનલ દહાણુ તાલુકાના આંબેસરી ગામ પાસે ઓપન કરી દેવામાં આવી છે. આ ટનલ ખોદતી વખતે બન્ને તરફથી કન્ટ્રોલ ડ્રિલિંગ અને બ્લાસ્ટ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સેફ્ટી અને સ્ટેબિલિટી જળવાઈ રહે એ માટે જિયોટેક્નિકલ ઇક્વિપમેન્ટનો ચોકસાઈ સાથે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ડેવલપમેન્ટ સાથે બોઇસર અને વાપી વચ્ચે મહારાષ્ટ્રની ત્રણે માઉન્ટન ટનલનું કામ છેલ્લા પાંચ મહિનામાં પૂરું થઈ ગયું છે.
નાશિકમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ આગના ગોળામાં ફેરવાઈ : ૪૬ મુસાફરોનો બચાવ
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ની એક બસ નાશિક જિલ્લાના ચાંદવડ ઘાટ સેક્શનમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે આગ લાગતાં જ ડ્રાઇવરે સતર્કતા દાખવીને તરત જ બસ રોકીને તમામ ૪૬ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. બસ-ડ્રાઇવરની આ ત્વરિત કામગીરી અને સમયસરના બચાવકાર્યને કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી.
