પશ્ચિમ એશિયાના સંઘર્ષની ભારત પર અસર અને ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ સહિતના આર્થિક સુધારાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ
ગઈ કાલે દિલ્હીમાં પોતાના આર્થિક સલાહકારો સાથેની મીટિંગમાં નરેન્દ્ર મોદી.
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી આર્થિક અને રાજકીય ઊથલપાથલ વચ્ચે ભારતના વિકાસદરને વધુ મજબૂત કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ધ ઇકૉનૉમિક ઍડ્વાઇઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર (EAC-PM)ના સભ્યો સાથે ઉચ્ચ સ્તરની બેઠક યોજી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહત્ત્વની બેઠકમાં પરિષદના સભ્યોએ પશ્ચિમ એશિયાના વર્તમાન સંઘર્ષની ભારત અને વૈશ્વિક અર્થતંત્ર પર પડનારી અસરો વિશે પોતાનું આકલન રજૂ કર્યું હતું.
બેઠક દરમ્યાન વડા પ્રધાન અને આર્થિક નિષ્ણાતોએ વૈશ્વિક મંદીના માહોલમાં પણ ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપવા વિશેના વિવિધ વિચારો પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત દેશમાં સામાન્ય નાગરિકો માટે ઈઝ ઑફ લિવિંગ અને ઉદ્યોગો માટે ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ સુધારવા માટે જરૂરી વહીવટી અને આર્થિક સુધારાઓ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં વડા પ્રધાનના બે મુખ્ય સચિવો પી. કે. મિશ્રા અને શક્તિકાંત દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
