કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ એ આદિવાસી વિદ્યાર્થીઓ માટેની વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી છે
૪૦,૦૦૦ આદિવાસી વિદ્યાર્થીઓને આપી સપનાં જોવાની અને આગળ વધવાની પ્રેરણા
ભુવનેશ્વર, ૧૬ માર્ચ ૨૦૨૬: રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને અધ્યક્ષ નીતા એમ. અંબાણીને કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસના કૅમ્પસ ખાતે પ્રતિષ્ઠિત કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ હ્યુમૅનિટેરિયન અવૉર્ડ ૨૦૨૫થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. શ્રીલંકાના નોબેલ પુરસ્કાર વિજેતા મોહન મુનાસિંઘેના હસ્તે તેમને આ અવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ તથા KIIT અને KIMSનાં સ્થાપક ડૉ. અચ્યુતા સામંત પણ હાજર રહ્યાં હતાં. આ અવૉર્ડ દ્વારા શ્રીમતી નીતા અંબાણીના જરૂરિયાતમંદો માટેનાં તેમનાં માનવસેવાનાં કાર્ય તેમ જ શિક્ષણ, આરોગ્ય, ગ્રામવિકાસ, મહિલા સશક્તીકરણ અને રમતગમતના ક્ષેત્રે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા તેમના નોંધપાત્ર યોગદાનને અહીં બિરદાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન આદિવાસી વિદ્યાર્થીઓને સંબોધતાં શ્રીમતી નીતા અંબાણીએ પ્રેરણાદાયકા સંદેશ આપતાં કહ્યું હતું કે ‘અમારા દીકરાઓ જે કરી શકે છે એ જ અમારી દીકરીઓ પણ કરી શકે છે. દીકરા અને દીકરીમાં કોઈ ફરક નથી.’
ADVERTISEMENT
તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું હતું કે ‘હંમેશાં યાદ રાખજો કે તમે આજે જ્યાં છો એ જ તમારી શરૂઆત છે, અંત નથી. તમે કેટલા આગળ વધી શકો છો એ તમારાં સપનાં, મહેનત અને આગળ વધવાની ધગસ પર નિર્ભર છે.’
તેમણે ભારતના ભવિષ્ય વિશે વિશ્વાસ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે ‘મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે.’
કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ હ્યુમૅનિટેરિયન અવૉર્ડની શરૂઆત ૨૦૦૮માં ડૉ. સામંત દ્વારા કરવામાં આવી હતી. આ અવૉર્ડ વિશ્વભરમાં માનવકલ્યાણ કાર્ય કરનાર વ્યક્તિઓ તેમ જ સંસ્થાઓને આપવામાં આવે છે. અવૉર્ડમાં પ્રશંસાપત્ર અને ગોલ્ડ-પ્લેટેડ ટ્રોફીનો સમાવેશ છે.
વર્ષોથી આ પુરસ્કાર વિશ્વભરનાં પ્રખ્યાત લીડર્સ, નોબેલ પુરસ્કાર વિજેતાઓ તેમ જ વિવિધ દેશોની પ્રતિષ્ઠિત પ્રતિભાઓને આપવામાં આવ્યો છે. આ પહેલાં આ અવૉર્ડ રતન તાતા, દલાઈ લામા અને અનિરુદ્ધ જગન્નાથ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પણ આપવામાં આવ્યો છે.
કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ એ આદિવાસી વિદ્યાર્થીઓ માટેની વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી છે, જ્યાં લગભગ ૮૦,૦૦૦ આદિવાસી વિદ્યાર્થીઓને બાળમંદિરથી લઈને પોસ્ટ ગ્રૅજ્યુએશન સુધી મફત શિક્ષણ, રહેવાની વ્યવસ્થા અને સર્વાંગી વિકાસની તક આપવામાં આવે છે.
