જૂન ૨૦૨૦માં મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ માટે હજી સુધી બાંધકામની જમીન ફાળવવામાં આવી ન હોવાથી એ પ્રોજેક્ટ અટકી ગયો છે
ઇન્દોરના ખજરાનામાં પ્રસ્તાવિત ૧૦૦ બેડની સિવિલ હૉસ્પિટલ
ઇન્દોરના ખજરાનામાં પ્રસ્તાવિત ૧૦૦ બેડની સિવિલ હૉસ્પિટલ રાજકીય વિવાદનું કેન્દ્ર બની ગઈ છે, કારણ કે આ હૉસ્પિટલ ક્યારેય બની ન હોવા છતાં ૮૭ સરકારી જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી અને છેલ્લાં ૬ વર્ષમાં સ્ટાફ એના નામે ટ્રાન્સફર કરવામાં આવતો રહ્યો હતો. ખજરાણા અને આસપાસના વિસ્તારોના લાખો રહેવાસીઓ સારવાર માટે અન્ય સરકારી હૉસ્પિટલો પર આધાર રાખે છે.
જૂન ૨૦૨૦માં મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ માટે હજી સુધી બાંધકામની જમીન ફાળવવામાં આવી ન હોવાથી એ પ્રોજેક્ટ અટકી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હૉસ્પિટલનું નિર્માણ ન થાય ત્યાં સુધી મંજૂર કરાયેલા ડૉક્ટરો, નર્સો અને પૅરામેડિકલ સ્ટાફને શહેરભરમાં સંજીવની ક્લિનિક્સ, પી. સી. સેઠી હૉસ્પિટલ, હુકમચંદ હૉસ્પિટલ અને અન્ય સરકારી આરોગ્યસંભાળ સુવિધાઓમાં અસ્થાયીરૂપે તહેનાત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ મુદ્દે ચીફ મેડિકલ અને હેલ્થ-ઑફિસર ડૉ. માધવ હસાની અને નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્યપ્રધાન રાજેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે યોગ્ય સરકારી જમીન ઉપલબ્ધ ન હોવાને કારણે વિલંબ થયો છે, જ્યારે મંજૂર કરાયેલા કર્મચારીઓ અન્યત્ર સક્રિય રીતે સેવા આપી રહ્યા છે.
જોકે કૉન્ગ્રેસે આ ઘટનાને મોટું કૌભાંડ ગણાવ્યું છે. ભૂતપૂર્વ પ્રધાન સજ્જન સિંહ વર્માએ આ મુદ્દે ઉચ્ચ સ્તરની તપાસની માગણી કરી છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે ફક્ત કાગળ પર અસ્તિત્વ ધરાવતી હૉસ્પિટલ માટે નિમણૂકો અને બદલીઓ કેવી રીતે ચાલી રહી છે.
