રામ મંદિરના ચઢાવેલા દાનની ચોરી કેસમાં CBI તપાસની માંગ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. વેકેશન પૂરું થયા બાદ નિયમિત સુનાવણી દરમિયાન આ કેસની સુનાવણી થશે તો પણ કોઈ સમસ્યા નહીં થાય.
રામ મંદિર (તસવીર સૌજન્ય: મિડ-ડે)
સુપ્રીમ કોર્ટે સોમવારે અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનની ચોરી મામલે તાત્કાલિક સુનાવણીથી ઇનકાર કર્યો. રામ મંદિરના ચઢાવાની ચોરી મામલે CBIની આગેવાની હેઠળ અનેક એજન્સીઓ દ્વારા તપાસ કરાવવાની માગ સાથે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. કોર્ટે કહ્યું કે હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. વેકેશન પૂરું થયા બાદ નિયમિત સુનાવણી દરમિયાન આ કેસની સુનાવણી થશે તો પણ કોઈ સમસ્યા નહીં થાય. કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું, "જો સુનાવણી ઉનાળાની રજાઓ પછી થશે તો આકાશ તૂટી નહીં પડે."
હકીકતમાં, બે વકીલોએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL)દાખલ કરી હતી. આ અરજીમાં રામ મંદિરના ચઢાવામાં આવેલા દાનના નાણાંની ચોરી મામલે CBI અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા તપાસ કરાવવાની માગ કરવામાં આવી હતી. સાથે જ એવી માગ પણ કરવામાં આવી હતી કે આ તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે. અરજદારોનું કહેવું હતું કે ઉત્તર પ્રદેશ પોલીસની તપાસ પર લોકોને પૂરતો વિશ્વાસ નથી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કેસ સાથે જોડાયેલા મહત્વના પુરાવાઓની યોગ્ય રીતે સુરક્ષા કરવામાં આવી રહી નથી.
ADVERTISEMENT
અરજન્ટ લિસ્ટિંગની માગ સુપ્રીમ કોર્ટે નકારી:
કેસની તાત્કાલિક સુનાવણી કરવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો. કોર્ટે કહ્યું કે હાલ આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની કોઈ જરૂર નથી. તેથી હાલ કેસ પર તરત કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોર્ટે આદેશ આપ્યો કે ઉનાળાની રજાઓ પૂર્ણ થયા બાદ આ અરજી નિયમિત બેંચ સમક્ષ સુનાવણી માટે રજૂ કરવામાં આવે.
CBI-SIT તપાસની માગ ઉઠી
કોર્ટમાં મળેલી અરજીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળેલા દાનના સંચાલનમાં ગેરરીતિના આરોપ લગાવવામાં આવ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે. અરજદારે કહ્યું છે કે કેસની સાચી હકીકત બહાર આવે તે માટે CBIના નેતૃત્વમાં ખાસ તપાસ ટીમ (SIT) બનાવવામાં આવે. સાથે જ તપાસ નિષ્પક્ષ રીતે અને નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવી પણ માગ કરવામાં આવી છે.
આજે કોર્ટમાં રજૂ થશે તમામ 8 આરોપીઓ
રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિના કેસમાં તમામ 8 આરોપીઓને આજે અયોધ્યાની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટ તેમના ન્યાયિક કસ્ટડી અંગે નિર્ણય લેશે. બીજી તરફ, અયોધ્યા બાર એસોસિએશન બેઠક કરીને નક્કી કરશે કે તેના વકીલો આરોપીઓનો કેસ લડશે કે નહીં. આજની સુનાવણીને ધ્યાનમાં રાખીને અયોધ્યા કોર્ટમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોર્ટ પરિસરની અંદર અને બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. શુક્રવારે કોર્ટે તમામ આરોપીઓને સોમવાર સુધી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આજે સુનાવણી પૂર્ણ થયા બાદ તેમને ફરી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે. આરોપીઓનો કેસ લડવો કે નહીં, તે અંગેનો અંતિમ નિર્ણય અયોધ્યા બાર એસોસિએશન કરશે.
