ઍરલાઇન્સનાં ભાડાં વિશે સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કર્યો
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે ‘એક જ દિવસની, એક જ સેક્ટરમાં ઉડાન ભરનારી એક ઍરલાઇન જે ભાડું લે છે એના કરતાં બીજી કોઈ ઍરલાઇન ખૂબ જ વધુ અને અલગ ભાડું લે છે. આ અંતરને ઠીક કરવા માટે સરકારે કંઈક પગલાં તરત લેવાં જોઈએ.’
ગઈ કાલે સોશ્યલ ઍક્ટિવિસ્ટ એસ. લક્ષ્મીનારાયણની અરજી પર સુનાવણી દરમ્યાન જજે આ નિર્દેશ કર્યો હતો. અરજીમાં લક્ષ્મીનારાયણે કહ્યું હતું કે ‘ઍરક્રાફ્ટ ઍક્ટ ૧૯૩૭ના નિયમ પહેલેથી છે, પરંતુ સમસ્યા એ છે કે એનું પાલન નથી થઈ રહ્યું. જ્યાં સુધી નવા નિયમ નહીં બને ત્યાં સુધી જૂના નિયમો રહેશે અને એનું પાલન પણ નહીં થાય. દેશમાં મજબૂત અને સ્વતંત્ર રેગ્યુલેટર બનાવવું જોઈએ જે ઍરલાઇન્સનાં ભાડાં અને એક્સ્ટ્રા ચાર્જિસ પર દેખરેખ રાખે.’
ADVERTISEMENT
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ અરજીની સુનાવણી દરમ્યાન અરજીકર્તાની વાત સાથે સહમત થતાં સરકારી વકીલને કહ્યું હતું કે ‘બે ઍરલાઇનનું ભાડું અલગ-અલગ કેમ હોય છે? એક જ સેક્ટરમાં એક જ દિવસે હવાઈ ભાડું ૮૦૦૦ રૂપિયાથી લઈને ૧૮,૦૦૦ સુધીનું હોય છે. એવું કેમ? સરકારે આ બાબતે કડક પગલાં લઈને લોકોને થોડીક રાહત આપવી જોઈએ.’
સરકાર તરફથી વકીલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ‘સરકાર આ સમસ્યા પર કોઈ દલીલ નથી કરી રહી અને કોઈ વિરોધ પણ નથી કરી રહી. ૨૦૨૪નો નવો કાયદો લાગુ કરવા તેમ જ સખત નિયમો બનાવવા પર ચર્ચા ચાલી જ રહી છે.’
કોર્ટની હળવી પળ
આ અરજીમાં વકીલે કહ્યું હતું કે ‘હવાઈ યાત્રાનાં ભાડાં ક્યારેક ૩૦૦ ટકા વધી જાય છે.’
ત્યારે જજે મજાકમાં કહ્યું હતું કે ‘ક્યારેક વકીલોની ફી પણ ૪૦૦ ટકા સુધી વધી જાય છે. ત્યારે શું કરવું જોઈએ?’
