સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, માત્ર કોઈ વ્યક્તિનું મૃત્યુ વાહનની અંદર થયું હોવાના કારણે જ વાહન માલિકને મોટર વાહન અધિનિયમ હેઠળ વળતર ચૂકવવા માટે જવાબદાર ગણાવી શકાય નહીં. વળતરના દાવા માટે વાહનના ઉપયોગ અને મૃત્યુ વચ્ચે સીધો-સ્પષ્ટ સંબંધ સાબિત થવો જરૂરી
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ બુધવારે ૨૨ જુલાઈના રોજ સ્પષ્ટતા કરી છે કે માત્ર મોટર વાહનની હાજરી હોવાના કારણે જ વાહન માલિકને મોટર વાહન અધિનિયમ (Motor Vehicles Act) હેઠળ વળતર ચૂકવવા માટે જવાબદાર ગણાવી શકાય નહીં. વળતર માટે વાહનના ઉપયોગ અને મૃત્યુ વચ્ચે સીધો અને સ્પષ્ટ સંબંધ હોવો અત્યંત જરૂરી છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે છત્તીસગઢ હાઈકોર્ટ (Chhattisgarh High Court) અને મોટર અકસ્માત વળતર ટ્રિબ્યુનલ (Motor Accident Compensation Tribunal)ના એ આદેશોને રદ કરી દીધા છે, જેમાં કારના માલિકને મૃતકની વિધવાને વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કોર્ટે શું અવલોકન કર્યું?
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, ‘નીચલી અદાલતોના ચુકાદાઓ પરથી એવું લાગે છે કે જ્યારે બંને વ્યક્તિઓ કારમાં હતા ત્યારે મૃતકને ઈજાઓ પહોંચી હતી. પરંતુ તેઓ આ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચ્યા તે તેઓ જ વધુ સારી રીતે જાણી શકે છે.’
શું છે સમગ્ર મામલો?
મૃતક ૨૯ નવેમ્બર ૨૦૦૯ના રોજ તેના મિત્ર દિલીપની કારમાં બેઠો હતો. તેના ત્રણ દિવસ પછી, ૨ ડિસેમ્બર ૨૦૦૯ના રોજ એક ગામ નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની પત્નીએ એફઆઈઆર નોંધાવી હતી, જેના આધારે અરજદાર (કાર માલિક) અને અન્ય બે લોકો પર અપહરણ, હત્યા અને કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ટ્રાયલ કોર્ટે આ મામલે અરજદારને દોષિત ઠેરવ્યો હતો, પરંતુ બાદમાં ૨૦૧૫માં હાઈકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો, કારણ કે સરકારી પક્ષ `છેલ્લે સાથે જોવા મળ્યા હોવાની` (Last Seen) થિયરી સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
બીજી તરફ, મૃતકની પત્ની અને બાળકોએ મોટર વાહન અધિનિયમ હેઠળ વળતર મેળવવા અરજી કરી હતી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મૃતકની હત્યા અરજદારની કારની અંદર જ કરવામાં આવી હતી.
ટ્રિબ્યુનલે આ મૃત્યુને કાયદાની કલમ ૧૬૫ અને ૧૬૬ ના દાયરામાં માનીને રુપિયા ૫.૬૪ લાખથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે આ નિર્ણયને જાળવી રાખ્યો હતો અને વળતરની રકમ વધારીને રુપિયા ૮.૬૦ લાખ કરી હતી, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આ બાબતની ચકાસણી કરી કે શું મૃતકનું મૃત્યુ મોટર વાહનના ઉપયોગના કારણે થયું છે, જેથી કાર માલિક અથવા તેની વીમા કંપની વળતર ચૂકવવા માટે બાધ્ય બને?
અપીલને ગ્રાહ્ય રાખતાં જસ્ટિસ કરોલના ચુકાદામાં જણાવવામાં આવ્યું કે નીચલી અદાલતો કાર અને મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. તેથી, કાયદાની કલમ ૧૬૬ હેઠળ વાહન માલિક પર આ પ્રકારે વળતરની જવાબદારી નક્કી કરી શકાય નહીં.
