વાદળ ફાટવાને પગલે ટ્રૅક્ટર-ટ્રૉલી, કાર અને બાઇક સહિત અનેક વાહનો પૂરમાં તણાયાં
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ગુરુવારે મોડી રાત્રે શિવાલિક પહાડીઓમાં વાદળ ફાટ્યા બાદ સિદ્ધપીઠ શ્રી શાકંભરીદેવી મંદિરમાં ભારે પૂર આવ્યું હતું. ભક્તોનાં એક ડઝનથી વધુ વાહનો તણાઈ ગયાં હતાં. બે મહિલા ભક્તો પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી અને તેમના મૃતદેહ લગભગ એક કિલોમીટર દૂર રેતીમાં દટાયેલા મળી આવ્યા હતા. તેમની ઓળખ થઈ નથી. આ વિસ્તારની અન્ય નદીઓ પણ રાતોરાત છલકાઈ ગઈ હતી, પરંતુ કોઈ નુકસાન થયું નથી. ૪ ટ્રૅક્ટર અને ટ્રૉલીઓ, કાર અને બાઇકો વહી ગયાં હતાં અને કાટમાળમાં ફસાઈ ગયાં હતાં. એક કાર બાંધકામ હેઠળના એલિવેટેડ પુલના થાંભલામાં ફસાઈ ગઈ હતી.
સરકારે ગુરુવારે સવારથી જ હવામાનની ચેતવણી જાહેર કરી હતી, પરંતુ શાકંભરીમાં આટલા વિનાશની કોઈને અપેક્ષા નહોતી. રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યે શાકંભરી સંકુલમાંથી વહેતી નદી છલકાઈ અને પાણીનું સ્તર વધ્યું ત્યારે શાકંભરી પોલીસ-સ્ટેશને ભક્તોને નદીમાં પાર્ક કરેલાં વાહનોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા સૂચના આપી હતી. થોડી જ વારમાં ઉપરથી જોરદાર પ્રવાહ આવ્યો હતો અને ક્ષણોમાં સિદ્ધપીઠ સંકુલ સુધી ભયંકર પૂર આવ્યું હતું. માતાના મંદિરના મુખ્ય દરવાજાનાં ૪ પગથિયાં સુધી પૂરનું પાણી પહોંચી ગયું હતું.
ADVERTISEMENT
બજારમાં ઘૂસેલા પૂરના પાણીએ પ્રસાદ વેચતી દુકાનોને પણ ઝપટમાં લીધી હતી. એક ડઝન દુકાનોનો સામાન અને કેટલીક દુકાનો પાણીમાં તણાઈ ગયાં હતાં. મુખ્ય મંદિરથી ભૂરાદેવ સુધીના નદીના માર્ગ પર પ્રસાદ, રમકડાં અને અખરોટ વેચતી અસંખ્ય દુકાનો છે. આ બધી દુકાનો પૂરમાં વહી ગઈ હતી.
