મારા જેવા આઠ પેરન્ટ્સ હવે એક થયા છીએ
વેણુગોપાલ ગોવિંદન અને રસી લીધા પછી જીવ ગુમાવનારી તેમની દીકરી કારુણ્યા.
ઍસ્ટ્રાઝેનેકા કંપનીએ વિકસાવેલી કોવિડ-19ની કોવિશીલ્ડ રસી લઈને મૃત્યુ પામેલી ૨૦ વર્ષની દીકરીના પિતાએ હવે વિશ્વમાં સૌથી મોટી રસી બનાવતી કંપની સામે લડવાની તૈયારી કરી છે. યુનાઇટેડ કિંગડમમાં આ કંપનીએ રજૂ કરેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે રસીની આડઅસરથી બ્લડમાં ક્લૉટ થાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે જેથી રસી લેનારને અસામાન્ય ગણાતા રોગ થાય છે. ભારતમાં આ રસીનું ઉત્પાદન કરનારી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)એ હજી સુધી આ મુદ્દે નિવેદન આપ્યું નથી.
કોવિશીલ્ડ રસી લીધા બાદ ૨૦૨૧માં વેણુગોપાલન ગોવિંદનની ૨૦ વર્ષની દીકરી કારુણ્યાનું મૃત્યુ થયું હતું. ભારતમાં રસીના રોલઆઉટ માટે સરકારી સત્તાવાળાઓને જવાબદાર ગણાવીને વેણુગોપાલન ગોવિંદને ઑનલાઇન પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘રસી લીધા બાદ બ્લડ-ક્લૉટથી મૃત્યુ થાય છે એવું જાણ્યા બાદ ૧૫ યુરોપિયન દેશોએ આ રસીના વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, ત્યાર બાદ ભારતમાં આ રસીનું ઉત્પાદન કરતી SIIએ રસીની સપ્લાય બંધ કરી દેવી જોઈતી હતી. જે લોકોએ તેમનાં વહાલસોયાં ખોઈ દીધાં છે તેઓ હવે કોર્ટમાં ન્યાય માટે લડી રહ્યાં છે, પણ અમારી કોઈ સુનાવણી થતી નથી. હવે અમે નવા કેસ દાખલ કરીશું અને ન્યાય માટે માગણી કરીશું. મેં જેમ મારી દીકરી ગુમાવી છે એમ મારા જેવા આઠ પેરન્ટ્સ હવે એક થયા છીએ અને અમે હવે લડત આપવાના છીએ. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને અદર પૂનાવાલાએ તેમના પાપ માટે જવાબ આપવો પડશે.’
ADVERTISEMENT
આ પહેલાં કારુણ્યાના મોતની તપાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ એનાં તારણોમાં જણાવ્યું હતું કે યુવતીના મોત માટે વૅક્સિન જવાબદાર નથી.