કેરળમાં લગ્ન કરાવવાનું વચન આપીને 9 વર્ષ સુધી યોગ્ય પ્રસ્તાવ ન આપનાર મેરેજ બ્યુરો સામે ગ્રાહકે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી. કોર્ટે બ્યુરોની સેવામાં ખામી ગણાવી રજિસ્ટ્રેશન ફી પરત આપવા સાથે માનસિક ત્રાસ અને કેસના ખર્ચનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો.
૯ વર્ષ પછી પણ દુલ્હન ન મળી એટલે મૅરેજ-બ્યુરોએ ચૂકવવો પડ્યો દંડ
કેરલમના કન્નુરમાં કન્ઝ્યુમર ફોરમે એક મૅરેજ-બ્યુરોને એક ગ્રાહકની રજિસ્ટ્રેશન-ફી પાછી આપીને તેને વળતર આપતો આદેશ આપ્યો છે. વાત એમ હતી કે નર્સિંગ હોમના એક પ્રોફેસરે ૨૦૧૬માં એક મૅરેજ-બ્યુરોમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એ માટે તેમણે ૩૦૦૦ રૂપિયાની ફી ભરી હતી. મૅરેજ-બ્યુરોવાળાએ પ્રોફેસરને ભરોસો અપાવ્યો હતો કે તેમને બહુ જલદીથી યોગ્ય છોકરી બતાવવામાં આવશે, પણ એવું થયું નહીં. પ્રોફેસરે અવારનવાર બ્યુરોનો સંપર્ક કર્યો, પરંતુ તેમને એકેય છોકરી બતાવવામાં આવી નહીં. નવ વર્ષ વીતી ગયાં પણ મૅરેજ-બ્યુરો તરફથી કોઈ રિઝલ્ટ આવ્યું નહીં અને એક જ જવાબ મળ્યો કે તેમને અનુકૂળ એક પણ લગ્નનો પ્રસ્તાવ મળ્યો નથી. પ્રોફેસરના પિતા પણ દીકરાનાં લગ્ન થશે એની રાહ જોતાં મૃત્યુ પામ્યા અને હવે તેમની મમ્મી પણ બીમાર છે. એ પછી પ્રોફેસરની ધીરજ ખૂટી ગઈ. તેમણે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી. આ કોર્ટમાં પણ મૅરેજ-બ્યુરો તરફથી કોઈએ જવાબ આપવાની તસદી ન લીધી. આખરે કન્ઝ્યુમર કોર્ટે મૅરેજ-બ્યુરોની સર્વિસમાં ખોટ હતી એવું તારણ કાઢીને રજિસ્ટ્રેશન-ફી, ૩૦૦૦ રૂપિયા માનસિક પરેશાનીનું વળતર, ૨૦૦૦ રૂપિયા કોર્ટ કેસનો ખર્ચ ૩૦ દિવસની અંદર ગ્રાહકને ચૂકવવાનો બ્યુરોને આદેશ આપ્યો.
