મહારાષ્ટ્રના નાગપુરની અનંતા સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં ઑક્સિબાર શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં ચાર અલગ-અલગ ફ્લેવરની અરોમાથેરપી સાથે ઑક્સિજન સેશનની સુવિધા આપવામાં આવે છે.
નાગપુરની એક હૉસ્પિટલમાં હવે ઑક્સિજન પણ ૪ ફ્લેવરમાં મળશે
મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઑક્સિબાર ખૂલ્યો છે. આ સુવિધા અનંતા સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. અહીં ઑક્સિજન ૪ અલગ-અલગ ફ્લેવરમાં મળી શકે છે. ઑક્સિબાર ખાસ એવા લોકો માટે છે જેઓ લો-એનર્જી ફીલ કરે છે અને વારંવાર થાકી જાય છે. પૂરતા ઑક્સિજનના અભાવે આવું થતું હોય તો ઑક્સિબારમાં શુદ્ધ હવાનો શ્વાસ લઈને વ્યક્તિ રિલૅક્સ અને ફ્રેશ ફીલ કરી શકે છે. ઑક્સિબારમાં બેસીને નાકથી શુદ્ધ હવા આપવામાં આવે છે અને એ માટે દરેક વ્યક્તિને નવું અને સ્ટરિલાઇઝ્ડ મશીન આપવામાં આવે છે. આ સેશન દરમ્યાન વ્યક્તિ ગ્રીન ટી જેવું હલકું પીણું પી શકે છે. હૉસ્પિટલે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં ડીપ બ્રીધિંગ અને અરોમાથેરપી સાથે ઑક્સિજન લેવાની હિમાયત કરવામાં આવી હતી. આ સેશન પછી શરીરમાં ઊર્જાનો સંચાર અને ફ્રેશનેસ લાગે છે. આ વિડિયોમાં ચાર ફ્લેવરની અરોમા-થેરપીની વાત છે. કેટલાક લોકોએ નિકોટીન કે રજનીગંધા ફ્લેવરનો ઑક્સિજન મળે છે કે નહીં એની પૂછપરછ પણ કરી લીધી હતી.
