૨૦૨૨ના વર્ષની આઇપીએલ માટે જાન્યુઆરીમાં યોજાનારી મોટા ભાગના ખેલાડીઓ માટેની હરાજી પહેલાં વર્તમાન આઠ ટીમોએ કયા ખેલાડીઓને પોતે રિટેન કર્યા એ ગવર્નિંગ કાઉન્સિલને જણાવવા માટે ગઈ કાલે આખરી દિવસ હતો. મુંબઈ ઇન્ડિયન્સે ધાર્યા પ્રમાણે રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, કિરોન પોલાર્ડને રિટેન કરવા ઉપરાંત સૂર્યકુમાર યાદવને પણ જાળવી રાખ્યો છે. જોકે કેટલીક ટીમના નિર્ણય ઊડીને આંખે વળગે એવા હતા.
૨૦૨૧ની આઇપીએલમાં સૌથી વધુ ૩૨ વિકેટ લઈને પર્પલ કૅપ મેળવનાર તેમ જ ઑલ-સીઝન્સના ડ્વેઇન બ્રાવોના ૩૨ વિકેટના રેકૉર્ડની બરાબરી કરનાર ગુજરાતી પેસ બોલર હર્ષલ પટેલને બૅન્ગલોરની ટીમે રિટેન નથી કર્યો. બૅન્ગલોરે માત્ર વિરાટ કોહલી, ગ્લેન મૅક્સવેલ અને મોહમ્મદ સિરાજને રિટેન કર્યા છે. યુઝવેન્દ્ર ચહલને પણ બૅન્ગલોરે ઑક્શનમાં મૂકી દીધો છે.
અનફિટ હોવાને કારણે થોડા મહિનાથી બોલિંગ ન કરી શકનાર હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સે રિટેન નથી કર્યો, જ્યારે અફઘાનિસ્તાનના સ્ટાર-સ્પિનર રાશિદ ખાનને સનરાઇઝર્સ હૈદરાબાદે હરાજીમાં મૂકી દીધો છે.
રિટેન ન કરવામાં આવેલા ખેલાડીઓને નવી બે ટીમ (અમદાવાદ, લખનઉ) હરાજી પહેલાં ખરીદી શકશે. એ જોતાં, પોતાને જ હરાજીમાં મૂકનાર કે. એલ. રાહુલ, શ્રેયસ ઐયર સહિતના સ્ટાર પ્લેયરોને નવી બે ટીમમાંથી કોઈ ટીમ અથવા હરાજીમાં કોઈ ટીમ ખૂબ ઊંચા ભાવે ખરીદી શકશે.
આઇપીએલમાં ખેલાડીઓ માટેના રિટેન્શનનું ફૉર્મેટ શું છે?
૧. જો કોઈ ટીમ ચાર પ્લેયર રિટેન કરે તો કુલ ખેલાડીઓ માટેની એની રકમમાંથી કુલ ૪૨ કરોડ રૂપિયા ઓછા થઈ જાય. એ ટીમે ચાર પ્લેયરોને ક્રમ પ્રમાણે આ મુજબ રિટેન્શન મની આપવાના રહે : પ્રથમ પ્લેયરને ૧૬ કરોડ રૂપિયા, બીજા પ્લેયરને ૧૨ કરોડ રૂપિયા, ત્રીજા પ્લેયરને ૮ કરોડ રૂપિયા અને ચોથા પ્લેયરને ૬ કરોડ રૂપિયા
૨. જો કોઈ ટીમ ત્રણ જ ખેલાડીને રીટેન કરે તો એની કુલ રકમમાંથી ૩૩ કરોડ રૂપિયા ઘટી જાય અને એણે ત્રણ ખેલાડીઓને આ રીતે રિટેન્શન મની આપવાના રહે : પ્રથમ ખેલાડીને ૧૫ કરોડ રૂપિયા, બીજા ખેલાડીને ૧૧ કરોડ રૂપિયા અને ત્રીજા ખેલાડીને ૭ કરોડ રૂપિયા.
૩. માત્ર બે ખેલાડીને રિટેન કરનાર ટીમના કુલ રકમના આંકડામાંથી ૨૪ કરોડ રૂપિયા ઘટી જાય અને એણે બે ખેલાડીને અનુક્રમે ૧૪ કરોડ તથા ૧૦ કરોડ રૂપિયા આપવાના રહે.
૪. એક જ ખેલાડીને રિટેન કરનાર ટીમના કુલ રકમના આંકડામાંથી ૧૪ કરોડ રૂપિયા કપાઈ જાય અને એ ટીમે એ રિટેન કરેલા પ્લેયરને ૧૪ કરોડ રૂપિયા આપવાના રહે.
૫. ભારત વતી ન રમેલા ખેલાડીને રિટેન કરવામાં આવે તો તેને વધુમાં વધુ ૪ કરોડ રૂપિયાની રકમ આપી શકાય.
કઈ ટીમે કોને રીટેન કર્યો?
મુંબઈ ઇન્ડિયન્સ
રોહિત શર્મા (૧૬ કરોડ રૂપિયા), જસપ્રીત બુમરાહ (૧૨ કરોડ), સૂર્યકુમાર યાદવ (૮ કરોડ), કિરોન પોલાર્ડ (૬ કરોડ)
ચેન્નઈ સુપર કિંગ્સ
રવીન્દ્ર જાડેજા (૧૬ કરોડ રૂપિયા), એમ. એસ. ધોની (૧૨ કરોડ), મોઇન અલી (૮ કરોડ), ઋતુરાજ ગાયકવાડ (૬ કરોડ)
કલકત્તા નાઇટ રાઇડર્સ
ઍન્દ્રે રસેલ (૧૨ કરોડ રૂપિયા), વેન્કટેશ ઐયર (૮ કરોડ), વરુણ ચક્રવર્તી (૮ કરોડ), સુનીલ નારાયણ (૬ કરોડ)
સનરાઇઝર્સ હૈદરાબાદ
કેન વિલિયમસન (૧૪ કરોડ રૂપિયા), અબ્દુલ સામદ (૪ કરોડ), ઉમરાન મલિક (૪ કરોડ)
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર
વિરાટ કોહલી (૧૫ કરોડ રૂપિયા), ગ્લેન મૅક્સવેલ (૧૧ કરોડ), મોહમ્મદ સિરાજ (૭ કરોડ)
દિલ્હી કૅપિટલ્સ
રિષભ પંત, (૧૬ કરોડ), અક્ષર પટેલ (૯ કરોડ), પૃથ્વી શૉ (૭.૫ કરોડ), ઍન્રિચ નૉર્કિયા (૬.૫ કરોડ)
રાજસ્થાન રૉયલ્સ
સંજુ સૅમસન (૧૪ કરોડ), જૉસ બટલર (૧૦ કરોડ), યશસ્વી જૈસવાલ (૪ કરોડ)
પંજાબ કિંગ્સ
મયંક અગરવાલ (૧૨ કરોડ રૂપિયા), અર્શદીપ સિંહ (૪ કરોડ)
કઈ ટીમ પાસે હવે હરાજીમાં પ્લેયરો ખરીદવા કેટલા પૈસા બચ્યા?
મુંબઈ : ૪૮ કરોડ રૂપિયા
ચેન્નઈ : ૪૮ કરોડ રૂપિયા
કલકત્તા : ૪૮ કરોડ રૂપિયા
દિલ્હી : ૪૮ કરોડ રૂપિયા
હૈદરાબાદ : ૬૮ કરોડ રૂપિયા
બૅન્ગલોર : ૫૭ કરોડ રૂપિયા
રાજસ્થાન : ૭૨ કરોડ રૂપિયા
પંજાબ : ૭૨ કરોડ રૂપિયા