મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે ભારતમાં ફસાયેલા વેસ્ટ ઇન્ડીઝના હેડ કોચ ડૅરેન સૅમીએ સોશ્યલ મીડિયા પર લખ્યું...
ડૅરેન સૅમી
સુપર 8ની અંતિમ મૅચ ભારત સામે હાર્યા બાદ વેસ્ટ ઇન્ડીઝ રેસમાંથી બહાર થઈ ગયું હતું પરંતુ યુદ્ધની પરિસ્થિતિને કારણે ટીમ હજી ઘરે વાપસી નથી કરી શકી.
બે વખતનો T20 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન અને વર્તમાન હેડ કોચ ડૅરેન સૅમી આ સ્થિતિમાં ભારે અકળાઈ ગયો છે. તેણે ગઈ કાલે બપોરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું હતું, ‘હું ફક્ત ઘરે જવા માગું છું. ઓછામાં ઓછી એક અપડેટ તો કહો. કંઈક કહો. પાંચ દિવસ થઈ ગયા.’ જોકે સાંજે તેણે X પર પુષ્ટિ કરી હતી કે મને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ તરફથી અપડેટ મળી છે.
ADVERTISEMENT
ઝિમ્બાબ્વેની ટીમ બે ગ્રુપમાં ઘરે પાછી ફરી રહી છે
ઝિમ્બાબ્વેની ક્રિકેટ-ટીમ પણ ભારતમાં સુપર 8 રાઉન્ડ બાદ યુદ્ધને કારણે અહીં રોકાઈ ગઈ હતી. ગઈ કાલે ઝિમ્બાબ્વે ક્રિકેટે પુષ્ટિ કરી હતી કે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેનારી ઝિમ્બાબ્વેની સિનિયર મેન્સ ટીમ ભારતથી ઘરે પાછી ફરી રહી છે. તાજેતરના ટ્રાન્ઝિટ વિક્ષેપોને કારણે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરી છે. ફ્લાઇટની ઉપલબ્ધતા અને બદલાયેલા રૂટને કારણે ટીમ બે ગ્રુપમાં હરારે પાછી ફરશે. ખેલાડીઓનું પહેલું જૂથ બુધવારે ભારતથી રવાના થયું છે અને અંતિમ જૂથ આજે શુક્રવારે બપોરે રવાના થશે.
યુદ્ધથી ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ક્વૉલિફાયરમાં વિક્ષેપ પડ્યો
યુદ્ધને કારણે નેપાલમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-ટૂની ૬ મૅચો મુલતવી રાખવામાં આવી છે. ૧૦થી ૨૦ માર્ચ દરમ્યાન કીર્તિપુરમાં યોજાનારી ૨૦૨૭ની વર્લ્ડ કપ ક્વૉલિફાયર મૅચો અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. યજમાન નેપાલની ટીમ યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને ઓમાન સાથે ક્વૉલિફાયર મૅચ રમવાની હતી.
