અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત-બૅન્ગલોર વચ્ચેની મૅચ વખતે ઑન ધ સ્પૉટ સારવાર : સ્ટેડિયમમાં તહેનાત ૧૦ ઍમ્બ્યુલન્સમાં ગરમીથી હેરાન થયેલા કુલ ૨૦૩ પ્રેક્ષકો આવ્યા
ઘાયલ થયેલા રાજેન્દ્ર પટેલ
ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે ભરતડકે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મૅચમાં ગરમીને કારણે ૨૦૩ પ્રેક્ષકોની તબિયત લથડતાં તેમને સ્ટેડિયમમાં તહેનાત કરાયેલી ૧૦ ઍમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવી હતી. એટલું જ નહીં, મૅચ દરમ્યાન વિરાટ કોહલીએ ફટકારેલી સિક્સરનો બૉલ વાગતાં ઘાયલ થયેલા રાજેન્દ્ર પટેલને પણ આ ઍમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવી હતી.
૧૦૮ ઍમ્બ્યુલન્સના અમદાવાદ જિલ્લાના પ્રોગ્રામ મૅનેજર જિતેન્દ્ર સાહીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મૅચ જોવા આવેલા ૨૦૩ પ્રેક્ષકોને ગરમીને કારણે હેડેક,
ચક્કર, ડીહાઇડ્રેશન અને ગભરામણ થતાં સ્ટેડિયમમાં તહેનાત કરાયેલી ઍમ્બ્યુલન્સમાં સારવાર આપવમાં આવી હતી. સ્ટેડિયમમાં પહેલાંથી જ અલગ-અલગ જગ્યાએ ૧૦ ઍમ્બ્યુલન્સ અમે તહેનાત કરી હતી જેને કારણે પ્રેક્ષકોની જલદી સારવાર થઈ શકી હતી અને તેઓ ફરી વાર મૅચ જોવા સ્વસ્થ થઈ ગયા હતા.’