જ્યારે ભારતીય ખેલાડીઓ મેદાન પર જશે ત્યારે તેમણે માત્ર આક્રમક ક્રિકેટ રમવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
સૌરવ ગાંગુલી
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ એક મીડિયા-ઇવેન્ટમાં ચર્ચા કરતાં ભારતીય ક્રિકેટ ટીમને ચૅમ્પિયન બનવા માટેનો ગુરુમંત્ર આપ્યો છે. ૫૧ વર્ષના સૌરવ ગાંગુલીએ કહ્યું કે ‘સૌથી મહત્ત્વની બાબત એ છે કે ભારતે નિર્ભયતાથી રમવું પડશે. અહીં ઉંમરનો કોઈ નિયમ નથી કે માત્ર યુવાઓ જ T20માં રમી શકે છે. જેમ્સ ઍન્ડરસન હજી પણ ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે અને મૅચમાં ૩૦ ઓવર બોલિંગ કરે છે. એમ. એસ. ધોની પણ હિટ કરવામાં સક્ષમ છે. આ બન્ને ખેલાડીઓની ઉંમર ૪૦ વટાવી ગઈ છે. મારા મતે વિરાટ કોહલી ૪૦ બૉલમાં સદી ફટકારી શકે છે, પરંતુ તે બધું નિર્ભયતાથી ક્રિકેટ રમવા પર નિર્ભર કરે છે. તેણે ઓપનિંગ કરવું જોઈએ. જ્યારે ભારતીય ખેલાડીઓ મેદાન પર જશે ત્યારે તેમણે માત્ર આક્રમક ક્રિકેટ રમવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ ખૂબ પ્રતિભાશાળી છે અને તેમની સિક્સર મારવાની ક્ષમતા અદ્ભુત છે. મારા મતે શ્રેષ્ઠ ટીમ એ હશે જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની જેમ યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ હોય.’