રોકાણના મૂલ્યની દૃષ્ટિએ ૯૧.૩૫ ટકા અને સંખ્યાની દૃષ્ટિએ ૯૨.૮૧ ટકા હિસ્સો ધરાવતા ટ્રેડર્સે વન ટાઇમ સેટલમેન્ટની તરફેણમાં મતદાન કર્યું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડે (NSEL) પોતાની પેરન્ટ કંપની 63 મૂન્સ ટેક્નૉલૉજીઝ લિમિટેડના સહયોગથી ૫૬૮૨ ટ્રેડર્સ સાથેની આખરી અને સૌહાર્દપૂર્ણ વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ નૅશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT), મુંબઈ સમક્ષ રજૂ કરી હતી. આ વન ટાઇમ સેટલમેન્ટનો મૂળ પ્રસ્તાવ મોટી સંખ્યામાં ટ્રેડર્સનું પ્રતિનિધિત્વ કરી રહેલા સંગઠન – એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ફોરમ (NIF) દ્વારા મૂકવામાં આવ્યો હતો.
આ સ્કીમ ઑફ સેટલમેન્ટ અનુસાર ૫૬૮૨ ટ્રેડર્સને ૨૦૨૪ની ૩૧ જુલાઈની એમની લેણી રકમના પ્રમાણ અનુસાર કુલ ૧૯૫૦ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. એને પગલે 63 મૂન્સ ગ્રુપની વિરુદ્ધના તમામ કાનૂની કેસ બંધ કરવામાં આવશે અને ટ્રેડર્સના તમામ હક 63 મૂન્સના ફાળે જશે.
ADVERTISEMENT
NCLTએ આ પ્રસ્તાવિત સ્કીમ ઑફ સેટલમેન્ટ પર ટ્રેડર્સનું ઈ-વોટિંગ કરાવવાનો ૨૦૨૫ની ૮ એપ્રિલના રોજ આદેશ આપ્યો હતો. NCLTએ ઈ-વોટિંગ પર દેખરેખ રાખવા માટે અશ્વિની ગુપ્તા (કંપની સેક્રેટરી)ની સ્ક્રુટિનાઇઝર તરીકે અને મુકેશ મિત્તલ (નિવૃત્ત આઇઆરએસ અધિકારી)ની ચૅરપર્સન તરીકે નિમણૂક કરી હતી. મતદાન ૨૦૨૫ની ૧૭ એપ્રિલે શરૂ થઈને ૨૦૨૫ની ૧૭ મેએ પૂરું થયું હતું.
સ્ક્રુટિનાઇઝરે સુપરત કરેલા અને ચૅરપર્સને ૨૦૨૫ની ૧૯ મેએ મંજૂર કરેલા ઈ-વોટિંગનાં પરિણામ વિશેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મૂલ્યની દૃષ્ટિએ ૯૧.૩૫ ટકા હિસ્સો ધરાવતા ટ્રેડર્સે અને સંખ્યાની દૃષ્ટિએ ૯૨.૮૧ ટકા ટ્રેડર્સે સેટલમેન્ટના ઠરાવની તરફેણમાં મતદાન કરીને એના પર મંજૂરીની મહોર મારી હતી.
આ સેટલમેન્ટને પગલે એ તમામ ટ્રેડર્સને મોટી રાહત મળશે જેમનાં નાણાં જુલાઈ ૨૦૧૩માં સર્જાયેલી NSEL પેમેન્ટ કટોકટીમાં ફસાઈ ગયાં હતાં.
નોંધનીય છે કે NSELએ ઑગસ્ટ ૨૦૧૩માં 63 મૂન્સના સહયોગથી ૧૭૯ કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી જેની મદદથી ૧૦ લાખ કરતાં ઓછી લેણી રકમ ધરાવતા ૭૦૫૩ નાના ટ્રેડર્સને લાભ મળ્યો હતો. 63 મૂન્સ ફરી એક વાર ટ્રેડર્સના પડખે રહી છે.
63 મૂન્સના એમડી-સીઈઓ એસ. રાજેન્દ્રે કહ્યું હતું કે ‘ભારતમાં આવા પ્રકારનું પ્રથમ સેટલમેન્ટ થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી 63 મૂન્સ આ સેટલમેન્ટને પાર પાડી શકશે એવો વિશ્વાસ છે.’

