Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રાજાઓ યુદ્ધ કરતા રહ્યા, રાણીઓ જૌહર કરતી રહી

રાજાઓ યુદ્ધ કરતા રહ્યા, રાણીઓ જૌહર કરતી રહી

Published : 14 October, 2025 01:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજાને લડાવી મારનારાઓની આ કુટિલતા છે. શસ્ત્રો બનાવનારાને તો ક્યાંક ને ક્યાંક યુદ્ધ ચાલતું રહે એમાં જ રસ હોય

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


શાંતિ માટે પણ યુદ્ધ કરવું પડે - બે વિરુદ્ધ શબ્દોવાળું આ વાક્ય યુદ્ધખોરોને બહુ ગમે. જાણે બીજો કોઈ રસ્તો જ ન હોય. લડ નહીં તો લડનારો દે કહેનારા ઝનૂનીઓને તો જાણે સમર્થન મળી ગયું.

યુદ્ધ પહેલાંની અને પછીની શાંતિમાં આસમાન-જમીનનો ફરક હોય છે. યુદ્ધમાં ખપી જનારા તો એ શાંતિ માણવા બચતા જ નથી. પાછળ રહેલાં પત્ની, બાળકો અને મા-બાપ શું આવી શાંતિમાં જીતનું જશન ન મનાવી શકે? ખંડેરમાં કયો તહેવાર ઊજવી શકાય? મકાન તો ઊભું થઈ જશે, મનના ખરી ગયેલા કાંગરાનું શું? મા-બાપની આંખોમાં ખૂંચતી એ ન દેખાતી કરચોનું શું? પત્નીના હૃદયમાં ખૂંપી જતી એ ન દેખાતી શૂળોનું શું? સ્તબ્ધ બાળકોના શરીરસોંસરી નીકળી જતી એ પીડાનું શું? કઈ શાંતિ એને શમાવી શકશે? પોપટપઢ્યાં આવાં વાક્યોથી બહાદુરી બતાવનારા પહેલાં પોતાની હથેળીમાં બે-ચાર સોય ભોંકી બતાવે, બંદૂકની બુલેટ તો બહુ દૂરની વાત છે.



બીજાને લડાવી મારનારાઓની આ કુટિલતા છે. શસ્ત્રો બનાવનારાને તો ક્યાંક ને ક્યાંક યુદ્ધ ચાલતું રહે એમાં જ રસ હોય. ડેવિડ અને ગોલાયથના આસમાન યુદ્ધમાં પણ ડેવિડ જીતે નહીં અને ગોલાયથ હારે નહીં એમાં જ રસ હોય. પોતાનું તાપણું સળગતું રહે એ માટે વાતો મંત્રણાની કરે પણ શરતોમાં જ ભવિષ્યના યુદ્ધનાં બીજ વાવી દેવાતાં હોય છે. ઇતિહાસમાં ભણ્યા જ છીએ કે બીજા વિશ્વયુદ્ધનાં બીજ, પહેલા વિશ્વયુદ્ધ પછીની શાંતિમંત્રણાઓમાં જ વવાઈ ચૂક્યા હતા.


એ ક્યારેય કહેવામાં આવતું નથી કે યુદ્ધ પછીની શાંતિ હશે સ્મશાનવત્, ભેંકાર જ્યાં પક્ષીઓ ચહેકતા હોય એવી સવાર નથી હોતી. વૃક્ષો જ ન રહ્યાં હોય તો પક્ષીઓ ક્યાં માળો બાંધશે? આ શાંતિનાં કબૂતરોની પાંખો કાપી નાખવામાં આવી હોય છે. બન્ને દેશને મળે છે વેદના, વિષાદ અને વિનાશની કાળી છાયા. બચેલી પેઢીને મળે છે નવા યુદ્ધની તૈયારીઓ. ફરી યુદ્ધ ન થાય ત્યાં સુધીની શાંતિ. બે યુદ્ધ વચ્ચેની શાંતિ. રાજાઓ યુદ્ધ કરતા રહ્યા, રાણીઓ જૌહર કરતી રહી. ખંજરો ભોંકાતા રહ્યા, સરહદો બદલાતી રહી. આજે શાંતિનો ઉપાય હિંસા છે એ ઠસાવવામાં આવી રહ્યું છે.

બાય ધ વે, જ્યારે મો સમ કૌન કુટિલ ખલ કામીનો અર્થ સમજાઈ જશે ને ત્યારે ગગન આખું ગુલાલથી રંગાઈ જશે.


 

- યોગેશ શાહ (શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2025 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK