આ નવી નીતિમાં ભારતીય સંસ્કારોની સાથે વૈશ્વિક અભિગમનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે.
મીના મહેતા
બદલાતા સમય સાથે શિક્ષણનું સ્વરૂપ પણ બદલાયું છે. ૧૯૬૮માં કોઠારી કમિશને દેશના શિક્ષણને એક નવો વળાંક આપ્યો અને કમ્પ્યુટર એજ્યુકેશનને કેન્દ્રસ્થાને મૂક્યું, જેનો દેશમાં વાસ્તવિક અમલ ૧૯૭૫થી થયો. એ પહેલાં દેશમાં અગિયારમા ધોરણમાં SSC અને ૪ વર્ષનું કૉલેજ શિક્ષણ હતું. ૧૯૭૫થી દેશમાં ૧૦+૨+૩ની પૅટર્ન અમલમાં આવી જેમાં દસમા સુધી સ્કૂલનું શિક્ષણ, HSC અને ગ્રૅજ્યુએશનનો સમાવેશ થતો હતો.
એકવીસમી સદીમાં જ્ઞાનની ક્ષિતિજો ખૂબ વિસ્તરી ચૂકી છે. વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના ક્ષેત્રે રોજ નવાં સંશોધનો થઈ રહ્યાં છે. અર્થવ્યવસ્થા, કૉમર્સ અને બિઝનેસ માટે દેશની ભૌગોલિક સીમાઓ અદૃશ્ય થઈ ગઈ છે. વર્લ્ડ ટ્રેડ, ડિજિટલ ટ્રેડ અને ઑનલાઇન વ્યાપાર ખૂબ ઝડપથી વધી રહ્યો છે. IT ક્ષેત્રે ક્રાન્તિ આવી રહી છે. સ્ટાર્ટ-અપ અને રોજગારની અગણિત નવી તકો ઊભી થઈ રહી છે. આવા સમયમાં આપણા દેશનો યુવાન વૈશ્વિક સ્તરે કદમ મિલાવીને આગળ વધી શકે એ માટે એક આધુનિક શિક્ષણનીતિની તાતી જરૂરિયાત હતી, જે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ દ્વારા પૂરી થઈ છે.
ADVERTISEMENT
આ નવી નીતિમાં ભારતીય સંસ્કારોની સાથે વૈશ્વિક અભિગમનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે. વર્ષો જૂની ૧૦+૨ની પૅટર્નને વિદાય આપીને હવે ૫+૩+૩+૪નું નવું પ્રગતિશીલ માળખું અમલમાં મૂકવામાં આવ્યું છે. બાળકના માનસિક વિકાસ માટે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ મળવું જોઈએ એ બાબતને અનેક શિક્ષણશાસ્ત્રીઓએ સ્વીકારી છે. આ નીતિમાં પ્રાથમિક સ્તરે માતૃભાષામાં જ શિક્ષણ આપવાનો ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો છે.
નવો ભણેલો યુવાન જો ઇચ્છે તો પ્લમ્બર, ઇલેક્ટ્રિશ્યન કે કાર્પેન્ટર બનીને પણ ગર્વભેર રોજગારી મેળવી શકશે. બાળક ૩ વર્ષનું થાય ત્યારથી જ સ્કૂલમાં પ્રવેશ મેળવશે. સમગ્ર શિક્ષણને ૪ મુખ્ય સ્ટેજમાં વહેંચવામાં આવ્યું છે. બાળક ૮ વર્ષનું થાય ત્યાં સુધી રમતગમત અને પ્રવૃત્તિઓ દ્વારા પાયાનું જ્ઞાન મેળવશે. પ્રિપરેટરી સ્ટેજમાં બાળક માતૃભાષાના જ્ઞાન સાથે ગણિત, વિજ્ઞાન અને અન્ય નવા વિષયો તેમ જ સંગીત અને ચિત્રકલા જેવી સર્જનાત્મક કલાઓ શીખશે. મિડલ સ્ટેજ માધ્યમિક શિક્ષણનો પ્રથમ તબક્કો છે જેમાં બાળક માતૃભાષાની સાથે હિન્દી, અંગ્રેજી કે અન્ય ભાષાઓનું જ્ઞાન પણ મેળવશે.
વિદ્યાર્થીઓ પર બોર્ડની પરીક્ષાઓનો જે માનસિક ડર અને તનાવ જોવા મળે છે એને દૂર કરવા માટે આ નીતિમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. હવે નવમાથી બારમા ધોરણ સુધી વર્ષમાં બે સેમેસ્ટર પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. બોર્ડ અને સેમેસ્ટર પરીક્ષાના ગુણને આધારે ક્રેડિટ સિસ્ટમ દ્વારા અંતિમ પરિણામ તૈયાર થશે. ઉચ્ચ શિક્ષણમાં પણ મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટનો વિકલ્પ અપાશે એટલે કે વિદ્યાર્થી અધવચ્ચે છોડી શકશે અથવા ફરીથી ત્યાંથી જ શરૂ કરી શકશે. તેનો અભ્યાસ ક્યારેય એળે નહીં જાય.
- મીના મહેતા
મીના મહેતા નિવૃત્ત શિક્ષિકા છે અને માતૃભાષા ગુજરાતી શીખવવાના વર્ગો છેલ્લાં ૩૦ વર્ષથી ચલાવે છે. આ ઉપરાંત તેઓ કાંદિવલીની સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલાં છે નિવૃત્ત શિક્ષિકા છે અને માતૃભાષા ગુજરાતી શીખવવાના વર્ગો છેલ્લાં ૩૦ વર્ષથી ચલાવે છે. આ ઉપરાંત તેઓ કાંદિવલીની સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલાં છે
