ધુરંધર : ધ રિવેન્જના ટ્રેલરનો આ ડાયલૉગ દર્શાવે છે જસકિરત સિંહ રંગીમાંથી હમઝા અલી મઝારી બનેલા રણવીર સિંહના રિવેન્જની તીવ્રતા
ટ્રેલરમાં અક્ષય ખન્નાની હાજરીએ ઊભી કરી ઉત્સુકતા
૧૯ માર્ચે રિલીઝ થનારી ‘ધુરંધર : ધ રિવેન્જ’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં રણવીર સિંહ, સંજય દત્ત અને અર્જુન રામપાલના દમદાર રોલની હાઇલાઇટ્સ જોવા મળે છે. ટ્રેલરમાં રણવીરની ભારતના જસકિરત સિંહ રંગીમાંથી પાકિસ્તાનના હમઝા અલી મઝારી બનવાની સફરની હાઇલાઇટ્સ જોવા મળે છે. ‘ધુરંધર’નો અંત રહમાન ડકૈતની હત્યાથી થાય છે, જ્યારે ‘ધુરંધર : ધ રિવેન્જ’ની શરૂઆત રહમાન ડકૈતના મોત પછી લ્યારીમાં ફેલાઈ ગયેલી અરાજકતા અને ગૅન્ગવૉરથી થાય છે. આ ટ્રેલર જોઈને અહેસાસ થાય છે કે ‘ધુરંધર : ધ રિવેન્જ’માં SP ચૌધરી અસલમ તરીકે સંજય દત્તનું અને અર્જુન રામપાલનું પાત્ર ‘ધુરંધર’ની સરખામણીમાં વધારે ડાર્ક અને ખતરનાક છે. આ ટ્રેલરમાં ઍક્ટ્રેસ સારા અર્જુન પણ ઍક્શન કરતી જોવા મળે છે.
ટ્રેલરમાં અક્ષય ખન્નાની હાજરીએ ઊભી કરી ઉત્સુકતા
ADVERTISEMENT
‘ધુરંધર : ધ રિવેન્જ’નું ૩ મિનિટ પચીસ સેકન્ડનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. આ ટ્રેલરમાં ફિલ્મના પહેલા ભાગમાં રહમાન ડકૈતના રોલમાં ભારે લોકપ્રિયતા મેળવનાર ઍક્ટર અક્ષય ખન્નાની માત્ર થોડા સેકન્ડની ઝલક જોવા મળે છે છતાં તેની હાજરીએ દર્શકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મના પહેલા ભાગમાં આ પાત્રને મરી ગયેલું બતાવવામાં આવ્યું હતું, પરંતુ સીક્વલના ટ્રેલરમાં તેની હાજરીએ દર્શકોમાં નવી ઉત્સુકતા ઊભી કરી છે.
