‘આવારાપન 2’નું ગીત ‘યે આવારાપન’ રિલીઝ થતાં અરિજિત સિંહ પ્લેબૅક સિન્ગિંગમાં કમબૅક કરી રહ્યો હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે તેના મૅનેજરે સ્પષ્ટતા કરી છે કે આ ગીત નિવૃત્તિ પહેલાં સ્વીકારેલા પ્રોજેક્ટનો ભાગ છે.
અરિજિત સિંહ, ઇમરાન હાશ્મી અને દિશા પટાની
અરિજિત સિંહે થોડા મહિના પહેલાં પ્લેબૅક સિન્ગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને પોતાના ચાહકોને મોટો ઝટકો આપ્યો હતો. તેણે કહ્યું હતું કે હવે તે કોઈ નવું ગીત કે નવો પ્રોજેક્ટ સ્વીકારશે નહીં. જોકે હવે એવી ચર્ચા છે કે ‘આવારાપન 2’થી અરિજિત સિંહ પ્લેબૅક સિન્ગિંગમાં કમબૅક કરી રહ્યો છે. ફિલ્મનું ગીત ‘યે આવારાપન’ ગઈ કાલે રિલીઝ થયું છે અને એને અરિજિત સિંહે ગાયું છે. આ ગીતના લૉન્ચિંગની સાથે જ અરિજિતની નિવૃત્તિ અંગે ફરી સવાલો ઊભા થયા છે.
જોકે અરિજિતની ટીમે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. મીડિયા સાથે વાત કરતાં અરિજિત સિંહના મૅનેજરે સ્પષ્ટ જણાવ્યું હતું કે ‘અરિજિત સિંહ પ્લેબૅક સિન્ગિંગમાં પરત ફરી રહ્યો નથી. હાલમાં જે ગીતો રિલીઝ થઈ રહ્યાં છે એ નિવૃત્તિની જાહેરાત પહેલાં જ સ્વીકારેલા પ્રોજેક્ટ્સનો ભાગ છે. અરિજિત માત્ર એ જ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી રહ્યો છે જે નિવૃત્તિની જાહેરાત પહેલાં ફાઇનલ થઈ ચૂક્યા હતા. આ બધાં તેનાં જૂનાં કમિટમેન્ટ્સ છે.’
