આ સ્ટાર કપલે એકબીજાને વરમાળા પહેરાવીને સાત જન્મ સુધી સાથે રહેવાનો સંકલ્પ લીધો
ઍક્ટર અશોક સરાફ અને તેમની પત્ની નિવેદિતા સરાફ
મરાઠી અને હિન્દી સિનેમાના ઍક્ટર અશોક સરાફ અને તેમની પત્ની નિવેદિતા સરાફે લગ્નજીવનનાં ૩૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે ફરી એક વાર પ્રતીકાત્મક રીતે લગ્નવિધિ કરી અને સાત જન્મ સુધી સાથે રહેવાનો સંકલ્પ લીધો. તેમની આ વિધિની તસવીરો હવે સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કારણ બની છે.
અશોક સરાફ અને નિવેદિતા સરાફે ૧૯૯૦માં ગોવાના ઐતિહાસિક મંગેશી મંદિરમાં લગ્ન કર્યાં હતાં. બન્ને વચ્ચે ૧૮ વર્ષનું વયનું અંતર હોવા છતાં તેમનો સંબંધ પ્રેમ, વિશ્વાસ અને પરસ્પર સન્માનનું સુંદર ઉદાહરણ માનવામાં આવે છે. લગ્નનાં ૩૭ વર્ષ પૂર્ણ થતાં બન્ને ફરી એક વાર દુલ્હા-દુલ્હનની જેમ સજ્યાં હતાં. તેમણે એકબીજાને વરમાળા પહેરાવી અને ફરીથી જીવનભર સાથે રહેવાનો સંકલ્પ લીધો. નિવેદિતા સરાફ આસમાની રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે અશોક સરાફ કુર્તા-પાયજામામાં ખુશખુશાલ જોવા મળ્યા હતા. લગ્નની વર્ષગાંઠની તસવીરો શૅર કરતાં અશોક સરાફે લખ્યું હતું કે ‘આજે પણ જ્યારે મારી નજર તારા પર પડે છે ત્યારે ૩૭ વર્ષ પહેલાંની જેમ જ મારું દિલ સ્મિત કરી ઊઠે છે. મારી સૌથી સારી મિત્ર, મારી શક્તિ અને મારા જીવનનો પ્રેમ બનવા બદલ આભાર. આપણી લગ્નવર્ષગાંઠ મુબારક.’
