Himachal Pradesh Rain Fury: હિમાચલમાં વરસાનો પ્રકોપ ચાલુ જ.. નવ લોકોના મોત નીપજ્યા છે અને મોટા પાયે જનજીવન પ્રભાવિત થયું છે; ભૂસ્ખલનને કારણે ૪૯ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે, જ્યારે ટ્રાન્સફોર્મરને નુકસાન થવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે
તસવીર સૌજન્યઃ એજન્સી
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ચોમાસાના આગમન સાથે જ લોકોને ગરમીથી રાહત તો મળી છે પરંતુ તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. શિમલા (Shimla), કાંગડા (Kangra), લાહૌલ-સ્પીતિ (Lahaul-Spiti) અને ચંબા (Chamba) જિલ્લામાં બનેલી જુદી-જુદી દુર્ઘટનાઓમાં બે મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા છે.
રાજ્યમાં ગુરુવારે રોહતાંગ (Rohtang), બારાલાચા (Baralacha La) અને શિંકુલા ઘાટ (Shinkula) પર હળવો બરફવર્ષા થઈ હતી અને અનેક સ્થળોએ વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ (Monsoon Updates) અને ભૂસ્ખલનને કારણે ૪૯ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ૪૨ ટ્રાન્સફોર્મર બગડી જવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. જોકે, ડાંગર અને મકાઈની વાવણી માટે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને આનાથી રાહત મળી છે.
ADVERTISEMENT
લાહૌલ-સ્પિતિમાં પથ્થર પડતાં HRTC કંડક્ટરનું મોત
લાહૌલ-સ્પીતિ જિલ્લાના એચઆરટીસી (HRTC) કેલોંગ ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર ઉદયપુરથી મયાડ ઘાટી રૂટ પર ગયા હતા. સવારે ઉદયપુર પરત ફરતી વખતે કંડક્ટર જ્ઞાન સિંહ (રહેવાસી લડભડોલ) ગુરુવારે સવારે બાવડી પાસે બ્રશ કરી રહ્યા હતા. આ દરમિયાન નીચે નમતી વખતે પહાડી પરથી એક પથ્થર તેમના માથા પર પડ્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ડ્રાઈવરે આ અકસ્માતની માહિતી ઉદયપુર પોલીસ સ્ટેશનને આપી હતી. એસપી લાહૌલ-સ્પીતિ શિવાની મેહલાએ જણાવ્યું કે આ અંગે ગુનો નોંધી લેવામાં આવ્યો છે.
વરસાદ સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં વધુ ત્રણના મોત
શિમલાના રામપુર સબ-ડિવિઝનના પીપલીધાર સ્થિત નિરસુ ગામ પાસે ગુરુવારે કરંટ લાગવાથી ૬૦ વર્ષીય મહિલાનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, કેબલ લાઈનમાં લોખંડનો પાતળો વાયર લગાવેલો હતો જે રસ્તા પર પડ્યો હતો. આ વાયર આશરે આઠ થી નવ મીટર દૂર વીજળીના સર્વિસ વાયર સાથે જોડાયેલા લોખંડના તાર સાથે અડેલો હતો. વરસાદ અથવા અન્ય કોઈ કારણસર તેમાં કરંટ પસાર થયો હોવાની આશંકા છે. કાંગડા જિલ્લાના દેહરા સબ-ડિવિઝનના મસોટમાં ટુલુ પંપ લગાવતી વખતે કરંટ લાગવાથી પ્લમ્બરનું મોત થયું હતું. ચંબા જિલ્લાના અગાહર ગામમાં પગ લપસી જતાં ખીણમાં ખાબકવાથી એક મહિલાનું મોત નીપજ્યું હતું.
ચંબા-ભરમૌર નેશનલ હાઈવે ભૂસ્ખલનને કારણે ૪ કલાક બંધ રહ્યો
ચંબા જિલ્લાના ભરમૌરમાં ગુરુવારે સવારે ભારે વરસાદને કારણે સિયૂંર નાળામાં પૂર આવતાં ગ્રીમા તરફ જતાં રસ્તાનો આશરે ૬૦ ફૂટ જેટલો હિસ્સો ધોવાઈ ગયો હતો. આના કારણે હોલી-સિયૂંર-ગ્રીમા માર્ગ પર વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ હતી. ચંબા-ભરમૌર નેશનલ હાઈવે દિનકા ઘાર પાસે ભૂસ્ખલનને કારણે આશરે ચાર કલાક સુધી બંધ રહ્યો હતો. બિલાસપુર જિલ્લામાં મુશળધાર વરસાદે ગરમીથી રાહત તો આપી, પરંતુ અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પથ્થરો અને માટી ચેતના ચોક સુધી રસ્તા પર આવી જતાં વાહનવ્યવહારને માઠી અસર થઈ હતી.
વિવિધ કારણોસર અત્યાર સુધીમાં ૯ લોકોના મોત
આપદા વ્યવસ્થાપન વિભાગ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચોમાસું પહોંચ્યા પછી અત્યાર સુધીમાં અલગ-અલગ કારણોસર નવ લોકોના મોત નીપજ્યા છે. જેમાં ચાર લોકોના ઊંચાઈ પરથી પડવાને કારણે, એકનું ડૂબી જવાથી, એકનું કરંટ લાગવાથી અને ત્રણ લોકોના અન્ય કારણોસર મોત થયા છે. અત્યાર સુધીમાં સાત કાચા મકાનોને નુકસાન થયું હોવાના અહેવાલ છે.
ચાર જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ
હવામાન વિજ્ઞાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર, ૩ જુલાઈએ કાંગડા અને મંડીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે કુલ્લુ, શિમલા, સિરમૌર અને ઉનાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બરફવર્ષા અને વરસાદને કારણે દિવસના તાપમાનમાં આશરે ૬ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં ૧ થી ૫ ડિગ્રી સેલ્સિયસનો તફાવત જોવા મળ્યો છે.
