પોલો મૅચ વખતે સંજય કપૂરે મધમાખી ગળી લીધી, તેના ગળામાં ફસાઈ અને બળતરા થઈ એથી હાર્ટ-અટૅક આવ્યો હોવાની શક્યતા
સંજય કપૂર
ઍક્ટ્રેસ કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને ભારતીય ઑટોમોટિવ ઉદ્યોગની અગ્રણી સોના કૉમસ્ટાર કંપનીના ચૅરમૅન ૫૩ વર્ષના સંજય કપૂરનું લંડનમાં ગુરુવારે પોલોની રમત દરમ્યાન હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. જોકે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મધમાખીના ડંખથી થયેલા અકસ્માતને કારણે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
બિઝનેસ કન્સલ્ટન્ટ સુહેલ સેઠને ટાંકીને એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ઇંગ્લૅન્ડમાં પોલો મૅચ વખતે મધમાખી ગળી જવાથી સંજયનું મૃત્યુ થયું હતું. મધમાખી તેમના ગળામાં ફસાઈ ગઈ હતી અને તેમને બળતરા થઈ હતી. ગભરાટની સ્થિતિને કારણે હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું કહેવાય છે. જોકે સંજય કપૂરની કંપની સોના કૉમસ્ટારે એના નિવેદનમાં મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો દર્શાવ્યું છે. સંજય કપૂર પોલો ટુર્નામેન્ટ માટે યુનાઇટેડ કિંગડમ ગયા હતા.
ADVERTISEMENT
સંજય કપૂરે કર્યાં હતાં ત્રણ લગ્ન
સંજય કપૂરે ત્રણ લગ્ન કર્યાં હતાં અને તેમને ત્રણ બાળકો હતાં. તેમનાં પહેલાં લગ્ન ૧૯૯૬માં ફૅશન-ડિઝાઇનર નંદિતા મહતાની સાથે થયાં હતાં અને ૪ વર્ષ ચાલ્યાં હતાં. ત્યાર બાદ તેમણે ૨૦૦૩માં કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. આ દંપતીને સમાઇરા અને કિઆન એમ બે બાળકો છે. ૨૦૧૪માં કરિશ્મા અને સંજયે પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી. ૨૦૧૬માં છૂટાછેડા પછી સંજયે ૨૦૧૭માં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યાં હતાં. આ દંપતીને અઝારિયાસ નામનો એક પુત્ર છે.
કરિશ્માનો ચોંકાવનારો આક્ષેપ
કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથેની ડિવૉર્સની અરજીમાં પતિ પર એવો આક્ષેપ કર્યો હતો કે હનીમૂન પર તે મને તેના મિત્રો સાથે સહશયન કરવાનું દબાણ કરતો હતો.

