સુશાંત સિંહ રાજપૂતે ગયા વર્ષે ૧૪ જૂને તેના ઘરમાં કથિત રૂપે સુસાઇડ કરી લીધું હતું એને લઈને વિવેકે આ નિવેદન આપ્યું છે
વિવેક ઑબેરૉય
વિવેક ઑબેરૉયનું કહેવું છે કે બૉલીવુડમાં કંઈક તો ઊણપ છે. સુશાંત સિંહ રાજપૂતે ગયા વર્ષે ૧૪ જૂને તેના ઘરમાં કથિત રૂપે સુસાઇડ કરી લીધું હતું. એને લઈને વિવેકે આ નિવેદન આપ્યું છે. ઇન્ડસ્ટ્રી વિશે જણાવતાં વિવેક ઑબેરૉયે કહ્યું હતું કે ‘ઇન્ડસ્ટ્રીને જેમ સારી બાજુ છે એવી રીતે એની ખરાબ બાજુને અમે સ્વીકારી નથી. કોઈ પણ વ્યક્તિ હોય, ઇન્ડસ્ટ્રી અથવા તો ફ્રૅટર્નિટી હોય એનાં ગુણગાન ગાય છે. જોકે એ પણ જોવું જોઈએ કે ઇન્ડસ્ટ્રીમાં કેટલી ખામીઓ, ભૂલો અને અયોગ્ય બાબતો છે. અમારામાં તો શાહમૃગ જેવા ગુણો છે, કારણ કે આપણે એ વાત પર ધ્યાન નથી આપતા કે આપણી ઇન્ડસ્ટ્રીમાં જ કંઈક તો ગરબડ છે. ગયા વર્ષે ઇન્ડસ્ટ્રીમાં ભારે દુઃખદ ઘટના ઘટી હતી. આમ છતાં કોઈ પણ ખરા અર્થમાં એ વિશે જણાવવા કે જાણવા નહોતા માગતા કે ઇન્ડસ્ટ્રીમાં જ ક્યાંક કાચું કપાઈ રહ્યું છે. કેટલાક લોકો માત્ર એટલું જ લખે છે કે એક ઍક્સિડન્ટ થઈ ગયો છે.’