હાલમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન માનવ ગોહિલે જણાવ્યું હતું કે તેને આ ફિલ્મ માટે કોઈ ઑડિશન આપવું પડ્યું નહોતું.
‘ધુરંધર : ધ રિવેન્જ’માં માનવ ગોહિલ
આદિત્ય ધર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ઘણી બાબતોને કારણે ચર્ચામાં છે, જેમાં સૌથી મોટી ખાસિયત તેનું કાસ્ટિંગ માનવામાં આવી રહી છે. ફૅન્સનું કહેવું છે કે ફિલ્મમાં દરેક પાત્ર માટે એકદમ પર્ફેક્ટ ઍક્ટર પસંદ કરવામાં આવ્યો છે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ ફિલ્મના બન્ને ભાગ માટે કલાકારોની પસંદગી કરી છે જેમાં એક મહત્ત્વનું નામ માનવ ગોહિલનું છે. માનવ ગોહિલે ફિલ્મમાં સુશાંત બંસલ નામના અધિકારીનો રોલ કર્યો છે જે જાસૂસોને ટ્રેઇનિંગ આપે છે. ફિલ્મમાં તે રણવીર સિંહના પાત્ર જસકિરત સિંહ રાંગીને પાકિસ્તાન જતાં પહેલાં ટ્રેઇનિંગ આપતો દેખાય છે.
હાલમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન માનવ ગોહિલે જણાવ્યું હતું કે તેને આ ફિલ્મ માટે કોઈ ઑડિશન આપવું પડ્યું નહોતું. તેણે તો ફિલ્મની સ્ટોરી, ડિરેક્ટર કે કાસ્ટ વિશે કંઈ જાણ્યા વગર જ ફિલ્મ સાઇન કરી દીધી હતી. તેણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું મસૂરીમાં પરિવાર સાથે રજા માણી રહ્યો હતો ત્યારે મુકેશ છાબડાનો ફોન આવ્યો અને પૂછ્યું કે મારી પાસે તારીખો ઉપલબ્ધ છે કે નહીં. ત્યાર બાદ મને તરત જ બૅન્ગકૉક જવા માટે કહેવામાં આવ્યું અને આ રીતે હું ફિલ્મનો ભાગ બન્યો. આ અનુભવ થોડો અજોડ હતો, કારણ કે હું છેલ્લી ઘડીએ ફિલ્મ સાથે જોડાયો હતો છતાં અંતે બધું યોગ્ય રીતે થયું.’
