આ દર્શન બાદ જાનકી બોડીવાલાએ કહ્યું કે, બાબા મહાકાલનાં દર્શનનો અનુભવ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે
જાનકી બોડીવાલા ગઈ કાલે ઉજ્જૈન પહોંચી હતી
અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’થી હિન્દી સિનેમામાં પગ મૂકનાર મૂળ ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા ગઈ કાલે ઉજ્જૈન પહોંચી હતી અને તેણે વિશ્વપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરનાં દર્શન કર્યાં. જાનકીએ નંદી હૉલમાં બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો અને પૂજન પણ કર્યું. જાનકીએ નંદી મંડપ પાસે બેસીને બાબા મહાકાલનું ધ્યાન કર્યું અને નંદી મહારાજના કાનમાં પોતાની મનોકામના વ્યક્ત કરી હતી.
આ દર્શન બાદ જાનકી બોડીવાલાએ કહ્યું કે ‘બાબા મહાકાલનાં દર્શનનો અનુભવ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે, કારણ કે આ એક આંતરિક આધ્યાત્મિક ભાવના છે. આજે ખૂબ જ સુંદર દર્શન થયાં અને જેણે આ અનુભવ કરાવવામાં મદદ કરી તેનો હું આભાર માનું છું. બાબા પાસે મારી એક જ પ્રાર્થના છે કે તેઓ અમને વારંવાર પોતાનાં દર્શન કરવા બોલાવતા રહે.’
