ભારત ભાગ્ય વિધાતાના પ્રમોશનમાં કંગના રનૌતે કહ્યું હતું કે સ્મિતા તાંબે મારાં લગ્ન માટે લાયક વર શોધી રહી છે...
ભારત ભાગ્ય વિધાતાના પ્રમોશન માટેના કાર્યક્રમમાં (ડાબેથી) કંગના રનૌત, ગિરિજા ઓક, સ્મિતા તાંબે અને ઈશા ડે
ઍક્ટ્રેસ અને સંસદસભ્ય કંગના રનૌત ૧૨ જૂને રિલીઝ થનારી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પ્રમોશન દરમ્યાન તેણે મહિલાઓના જીવન, લગ્ન, કારકિર્દી અને સમાજમાં તેમના યોગદાન વિશે ખુલ્લેઆમ ચર્ચા કરી હતી. આ વાતચીત દરમ્યાન કંગનાએ સહ-કલાકારો વચ્ચે થતી ચર્ચાઓ વિશે વાત કરતી હતી ત્યારે ફિલ્મમાં તેની સાથે કામ કરી રહેલી ઍક્ટ્રેસ સ્મિતા તાંબેએ કહ્યું હતું કે કંગના હંમેશાં લગ્નના સવાલથી ભાગે છે.
સ્મિતાની કમેન્ટનો જવાબ આપતા કંગનાએ લગ્ન વિશેના પોતાના વિચારો જણાવતા કહ્યું હતું કે ‘સ્મિતાને મારાં લગ્નની બહુ ચિંતા થાય છે અને તે મારા માટે લાયક વરની શોધ કરી રહી છે. દરેક વ્યક્તિની જીવનયાત્રા અલગ હોય છે. મારા સહ-કલાકારોમાં લગભગ બધા જ પરિણીત છે અને એમાંથી બેને બાળકો પણ છે, પણ દરેકનો અનુભવ અલગ હોય છે. ગિરિજા ખૂબ નાની ઉંમરે માતા બની હતી, જે કોઈપણ માટે પડકારજનક પરિસ્થિતિ હોઈ શકે છે. દરેક મહિલાનો પોતાનો અલગ પ્રવાસ હોય છે. મારી વાત કરું તો હું લગ્નની સંસ્થામાં વિશ્વાસ રાખું છું. એવું નથી કે હું લગ્નમાં વિશ્વાસ કરતી નથી, પણ લાંબા સમય સુધી લગ્ન મારી પ્રાથમિકતા નહોતી. મારી પ્રથમ પ્રાથમિકતા હંમેશાં મારી કારકિર્દી રહી છે.’
