સુધીર મિશ્રાની આગામી ફિલ્મમાં મનોજ બાજપેયી પહેલી વખત મહાત્મા ગાંધીનું પાત્ર ભજવી રહ્યો છે. સામે આવેલા ફર્સ્ટ લુકમાં તેનો ગાંધીજીનો લુક અને બૉડી-લૅન્ગ્વેજ ચર્ચામાં છે.
મનોજ બાજપેયી
ફિલ્મમેકર સુધીર મિશ્રાની આગામી ફિલ્મમાં મનોજ બાજપેયી મહાત્મા ગાંધીનો રોલ કરી રહ્યો છે. NH સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત અને બનારસ મીડિયા વર્ક્સના બૅનર હેઠળ અનુભવ સિન્હા અને નરેન્દ્ર હીરાવત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મની વાર્તા આઝાદીના સમયગાળાના ઇતિહાસ સાથે જોડાયેલી છે.
ફિલ્મ સાથે જોડાયેલી સૌથી ખાસ વાત એ છે કે નૅશનલ અવૉર્ડ વિજેતા ઍક્ટર મનોજ બાજપેયી એમાં પહેલી વખત મહાત્મા ગાંધીનું પાત્ર ભજવી રહ્યો છે જેના કારણે ફૅન્સમાં તેને ગાંધીજીના લુકમાં જોવાની ઉત્સુકતા હતી. હવે મનોજ બાજપેયીની એક તસવીર સામે આવી છે જેમાં દર્શકો તેના ગાંધીજીના લુકની ઝલક જોઈ શકે છે. આ લુકમાં મનોજ બાજપેયીના ઇન્ટેન્સ અભિનય અને દમદાર પર્ફોર્મન્સની ઝલક જોવા મળે છે. તસવીરમાં મનોજ બાજપેયીના જબરદસ્ત લુકને જોઈને સ્પષ્ટ થાય છે કે તેણે માત્ર ગાંધીજીના દેખાવને જ નહીં, તેમની બૉડી-લૅન્ગ્વેજને પણ આત્મસાત્ કરી છે. આ તસવીર સામે આવ્યા બાદ ફૅન્સ ચર્ચા કરી રહ્યા છે કે આ પાત્ર મનોજ બાજપેયીની કારકિર્દીનાં સૌથી ઉત્કૃષ્ટ પાત્રોમાંથી એક બની શકે છે.
શું છે ફિલ્મની વાર્તા ?
ADVERTISEMENT
આ ફિલ્મ ભારતીય સ્વતંત્રતાસંગ્રામના એવા ૨૧ દિવસો પર આધારિત છે જેના વિશે ઇતિહાસમાં બહુ ઓછી ચર્ચા થઈ છે. ડિરેક્ટર સુધીર મિશ્રાના જણાવ્યા અનુસાર જ્યારે દેશ આઝાદી તરફ આગળ વધી રહ્યો હતો અને નવી દિલ્હી સત્તાનું મુખ્ય કેન્દ્ર બની રહ્યુંુ હતું ત્યારે મહાત્મા ગાંધી સત્તાના કેન્દ્રથી દૂર ૨૧ દિવસ સુધી ક્યાંક અલગ રહ્યા હતા. આ સમયગાળા દરમ્યાન તેમનામાં એક નેતા તરીકે કેવાં પરિવર્તનો આવ્યાં એ આ ફિલ્મની વાર્તાનો મુખ્ય હિસ્સો છે
